૬૬મા ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

66th Gujarat Gaurav Divas: CM Bhupendra Patel Urges Citizens to Build a 'Viksit Gujarat' for a 'Viksit Bharat'

ગાંધીનગર: મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના દિન નિમિતે સંદેશો પાઠવતા જણાવાયું હતું કે, મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત 1લી મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે માત્ર રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ,1960થી 2000ના ચાર દાયકાની ગુજરાતની વિકાસયાત્રા અને વર્ષ 2001 પછીના અઢી દાયકાની અવિરત વિકાસયાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ  આકર્ષાયું છે. તેના મૂળમાં છે આપણને મળેલું નરેન્દ્ર મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, મોદી સાહેબે વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો. ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે. જનતા જનાર્દને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીઓમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે.આ પ્રેમનો નત મસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.વડાપ્રધાનશ્રીએ વિજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓની બેઝિક જરૂરીયાતો સંતોષવા ઉપર ફોકસ કરીને આ બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજે ‘જ્યોતિગ્રામ યોજના’થી 24 કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા 8,750 મેગાવૉટમાંથી વધીને લગભગ 53 હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે, જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ 40 ટકા વધાર્યુ છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે નરેન્દ્રભાઈએ 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે. આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આ સ્ટ્રેન્થને ‘વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ’ આપવા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ શરૂ કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની આવી કોન્ફરન્સને જ્વલંત સફળતા મળી છે, હવે દક્ષિણ ગુજરાત પ્રદેશની વી.જી.આર.સી.નો ગુજરાત સ્થાપના દિવસથી સુરતમાં પ્રારંભ થયો છે.

તેમણે ઉમેર્યુ કે, હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15 ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.

એટલું જ નહીં, પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. રાજ્યમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને બે હજુ થવાના છે. સાણંદ અને ધોલેરા સેમિકોન ઈન્ડસ્ટ્રીના હબ બનવાના છે. AI આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એ.આઈ. સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરી છે. તેમણે કહ્યુ કે, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજીક ડેવલોપમેન્ટ માટે સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ આવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે.

વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવનધોરણ સરળ બને તે માટે આપણે ‘અર્નિંગ વેલ લિવિંગ વેલ’ પર ફોકસ કરીને 2047ના વિકસિત ગુજરાતનો રોડમેપ ઘડ્યો છે. દેશમાં એક માત્ર આપણું ગુજરાત જ એવું રાજ્ય છે જેને આવું આગવું વિકાસ વિઝન વિકસાવ્યું છે. ‘અર્નિંગ વેલ અને લિવિંગ વેલ’ની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે. પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા વડાપ્રધાનશ્રીએ ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે. એનો પ્રતિસાદ આપતાં આપણે વરસાદી પાણીના સંચય માટે ‘કેચ ધ રેઈન’ની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.

‘એક પેડ માં કે નામ’ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવી છે. પર્યાવરણ જાળવણી સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે રમત-ગમતને પણ પ્રોત્સાહન આપીએ છીએ.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ. દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યુ છે. 2047 સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના 75 વર્ષ અમૃત મહોત્સવ 2035માં ઉજવવાની એક મોટી તક મળી છે. વર્ષ 2035 સુધીમાં આપણે ગુજરાતને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે.

આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરતમંદ સૌને આયુષ્માન ભારતનું વડાપ્રધાનનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્યધારામા લાવીને ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર, સૌને ‘ગુજરાત ગૌરવ દિવસ’ની અનેક અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય… વંદે માતરમ્…જય જય ગરવી ગુજરાત…