ઉત્તર પ્રદેશમાં તેજ આંધી અને વરસાદથી 96 લોકોનાં મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં બુધવારે આવેલી ભારે આંધી અને વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. જોરદાર પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જેને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આંધી અને વરસાદની ઝપટમાં આવીને વિવિધ જિલ્લાઓમાં 96 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મોત વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર મંડળમાં થયાં છે. વિવિધ જિલ્લાઓમાંથી મળેલી માહિતી અનુસાર પ્રયાગરાજમાં 17, ભદોહીમાં 16, ફતેહપુરમાં 9, બદાયુમાં 5, પ્રતાપગઢમાં 4, ચંદૌલી અને કુશીનગરમાં 2-2 અને સોનભદ્ર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ, આંધી અને વીજળી પડવાથી થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને અધિકારીઓને 24 કલાકમાં પીડિતોને રાહત પહોંચાડવાના આદેશ આપ્યા છે.

પ્રયાગરાજ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર બુધવારે આવેલા આંધી અને તોફાનને કારણે જિલ્લામાં 17 લોકોનાં મોત થયાં હતાં. જેમાં હંડિયા વિસ્તારમાં 7, ફૂલપુરમાં 4, સોરાંવમાં 3, મેજામાં 2 અને સદર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ભદોહી જિલ્લા વહીવટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં આંધી અને તોફાનને કારણે થયેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે.

પોલીસ અધિક્ષક દીપક ભૂકરે જણાવ્યું કે લાલગંજ કોતવાલી વિસ્તારના ઓઝા કા પુરવા ગામમાં ભીમ યાદવ (25) નામના યુવકનું સિમેન્ટનું શેડ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું હતું. ઉપરાંત બાઘરાય પોલીસ સ્ટેશન વિસ્તારના સાડી સ્વામી ગામમાં ભૂષણ પાંડે (56) નામની વ્યક્તિનું પણ તોફાન દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મોત થયું હતું.

CM યોગીએ વળતર આપવાના આપ્યા આદેશ

મુખ્ય મંત્રી યોગીએ કમોસમી વરસાદ અને વીજળીને કારણે થયેલા જાનહાનિ મામલાને ધ્યાનમાં  લઈને 24 કલાકની અંદર પીડિતોને વળતર આપવાનો આદેશ આપ્યો છે. તેમણે સંબંધિત જિલ્લાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર પહોંચી પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે.