સરકારી નોકરીઓમાં 99 ટકા ગોટાળો: બાબા રામદેવ

દહેરાદૂન: યોગગુરુ બાબા રામદેવે સ્વતંત્રતા દિવસના અવસર પર યુવાનોના આંદોલન અંગે વાત કરતાં મોટી ચેતવણી આપી છે. તેમણે સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યુ દરમિયાન 99 ટકા સુધી ગોટાળો થતો હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે વ્યવસ્થામાં બધું યોગ્ય રીતે થઈ રહ્યું નથી. તેને કારણે યુવાનોમાં ગુસ્સો છે અને વિવિધ સ્થળોએ આંદોલનો થઈ રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે સરકારી નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન 90થી 99 ટકા સુધી ગોટાળો થાય છે. પોતાના સંગઠન, પોતાના વિચારો, સંસ્કારો, જાતિ, વર્ગ અને સમુદાયના લોકોને પસંદ કરી લેવામાં આવે છે અને બાકીના લોકોને બહાર ધકેલી દેવામાં આવે છે.તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ અપમાનજનક છે અને લોકશાહી વિરુદ્ધ છે. આ ન્યાયની વિરુદ્ધ પણ છે. એક તરફ આપણે ‘સત્યમેવ જયતે’ની વાત કરીએ છીએ, જ્યારે બીજી તરફ ઇન્ટરવ્યુના સમયે 10માંથી કેટલાને પસંદ કરવાના છે તે અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે અને પૈસા લઈને ભરતી કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહી તો તેમને ફરીથી આંદોલન કરવું પડી શકે છે. તેમણે કહ્યું હતું કે આ રીતે દેશ કેવી રીતે ચાલશે? સુધરી જાઓ, નહીં તો દેશમાં આંદોલનો વધુ થઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આંદોલનને નામે અશાંતિ કે અરાજકતાના સમર્થક નથી. તેમનું કહેવું હતું કે દેશમાં ગોટાળો ઘણો છે અને તેને સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ચારે તરફ હંગામાની સ્થિતિ છે. તેમણે કહ્યું હતું કે સ્કૂલ અને કોલેજોમાંથી બાળકો ફરિયાદ કરી રહ્યાં છે કે વીજળી-પાણી નથી, પુસ્તકો નથી. જો પેપર પાસ કરી લીધું હોય તો ધોરણ 10 અને 12ના ગુણ ક્યાંય ગણાતા નથી. પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા થાય છે. સરકારી નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન 90થી 99 ટકા સુધી ગોટાળો થાય છે.