પંજાબના રાજકારણમાં ખળભળાટ: હરભજન સિંહના ઘરની દીવાલ પર લખાયું ‘ગદ્દાર’

10

પંજાબમાં AAP ના સાંસદોના પક્ષપલટા બાદ રાજકીય સંગ્રામ તેજ થયો છે. હરભજન સિંહના ઘરની બહાર ‘ગદ્દાર’ લખવામાં આવ્યું છે અને પક્ષના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહ સહિતના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. માને આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને લાલચ આપી પ્રાદેશિક પક્ષોને ખતમ કરી રહી છે, પરંતુ ગણતરીના નેતાઓના જવાથી પક્ષ નબળો નહીં પડે.

ચંદીગઢમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભગવંત માન અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પક્ષ છોડીને જનારા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જેમને જનતા વચ્ચે ગયા વગર અને હાથ જોડ્યા વગર સીધા જ મોટા પદો મળી ગયા હતા, તેમણે આજે પોતાના અંગત સ્વાર્થ માટે પંજાબની જનતા સાથે દગો કર્યો છે. માને આક્ષેપ કર્યો હતો કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ નેતાઓના મનની વાત વાંચી શકે તેવું મશીન હજુ સુધી બન્યું નથી. રાઘવ ચઢ્ઢાના ‘ગૂંગળામણ’ વાળા નિવેદન પર તંજ કસતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓ અત્યાર સુધી સત્તાનો આનંદ માણતા હતા તેમને હવે અચાનક પાર્ટીમાં ગૂંગળામણ થવા લાગી છે.

ભગવંત માને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેને ‘બંદે ખાની પાર્ટી’ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ જે પણ પક્ષ સાથે ગઠબંધન કરે છે તેને તે ધીમે ધીમે ગળી જાય છે. પંજાબમાં ભાજપ પાસે પોતાનો કોઈ મજબૂત આધાર નથી, તેથી તે પ્રાદેશિક પક્ષોને તોડવાની રણનીતિ અપનાવી રહી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને મહારાષ્ટ્રમાં શરદ પવાર તેમજ ઉદ્ધવ ઠાકરેના ઉદાહરણો આપીને જણાવ્યું કે કેવી રીતે કેન્દ્રીય એજન્સીઓ અને દબાણની રાજનીતિ દ્વારા વિપક્ષને નબળો પાડવામાં આવી રહ્યો છે. માને કહ્યું કે પંજાબમાં જ્યારે ‘બેઅદબી’ સામે કડક કાયદો આવ્યો ત્યારથી ભાજપમાં બેચેની જોવા મળી રહી છે.