ગાંધીનગર: અધિક માહિતી નિયામક અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ પટેલની કામગીરી વિશે ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, અરવિંદ પટેલ અત્યંત કર્મઠ, બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય કર્યું છે.અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિ એ સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માહિતી વિભાગએ સરકારની કામગીરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડતું અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ છે. મર્યાદિત સંશાધનો અને સતત મીડિયાના સંપર્ક વચ્ચે સરકારનું સંકલન કરવાની તેમની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે.
માહિતી કમિશનર કે.એલ. બચાણીએ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, જ્યારે પણ મીડિયા મેનેજમેન્ટ કે વહીવટી પ્રક્રિયાઓમાં જટિલ સ્થિતિ સર્જાતી હોય છે,એવા સમયે અરવિંદ પટેલની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિ હંમેશા માહિતી વિભાગના વહારે આવી છે. ૨૪ કલાક ફરજ માટેની તેમની તત્પરતા એ માહિતી ખાતાની કામગીરીને ગૌરવ અપાવ્યું છે. તેમની કાર્યસંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો કમિશનરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ અરવિંદ પટેલ સાથેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન કે મુખ્યમંત્રીના મોટા કાર્યક્રમોમાં જ્યારે મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા, ત્યારે તેમનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય ‘ક્રાઈસિસ મેનેજમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટે સૌને આવકારી પોતાના અનુભવો તાજા કર્યા હતા અને ચારેય ઝોનના સંયુકત નિયામક મિતેશ મોડાસિયા, જયેશ દવે, અરવિંદ મછાર, હેતલ દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં અરવિંદ પટેલ સાથેના એમની કામગીરીના અનુભવોનું ભાથું પીરસીને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે અરવિંદ પટેલના પરિવારજનો, માહિતી કમિશનરની કચેરી સહિત વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.




