LPG પછી હવે દવાઓના ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે દવાઓના બિલ પર પણ પડશે. કાચા માલના વધતા ભાવ અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવાને કારણે સરકાર જરૂરી દવાઓના ભાવમાં 10થી 20 ટકા સુધીનો તાત્કાલિક વધારો કરવાની વિચારણા કરી રહી છે, તેમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓના ઈલાજમાં ઉપયોગ થતી દવાઓ અને એન્ટિબાયોટિક્સ પણ સામેલ છે.

દવાઓના ભાવ વધારવા કેમ જરૂરી બન્યું?

ફાર્મા કંપનીઓનું કહેવું છે કે દવાઓ બનાવવા માટે વપરાતા સોલ્વન્ટ્સ (કાચો માલ)ના સપ્લાય ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. મોટા ભાગનો કાચો માલ પેટ્રોકેમિકલ ઉત્પાદનો છે, જે ખાડી દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે તેમની કિંમતો વધી ગઈ છે અને સપ્લાયમાં અવરોધ આવ્યો છે. કંપનીઓ મુજબ ખર્ચ એટલો વધી ગયો છે કે જૂના દરે દવાઓ બનાવવી નુકસાનકારક બની રહી છે. જો ભાવ વધારવામાં નહીં આવે તો બજારમાં દવાઓની અછત સર્જાઈ શકે છે.

કઈ દવાઓ મોંઘી થશે?

આ વધારો ‘પ્રાઇસ કન્ટ્રોલ’ હેઠળ આવતી દવાઓ પર લાગુ થઈ શકે છે:

* કેન્સરની દવાઓ: ગંભીર બીમારીઓના ઈલાજ માટેના ઇન્જેક્શન અને ગોળીઓ

* એન્ટિબાયોટિક્સ: ચેપ અટકાવતી જરૂરી દવાઓ

* ઇન્જેક્શન: હોસ્પિટલોમાં વપરાતા જીવનરક્ષક ઇન્જેક્શન

આ વધારો તાત્કાલિક રહેશે

સરકાર આ વધારો ટૂંકા ગાળાના ઉપાય તરીકે જોઈ રહી છે. ચર્ચા છે કે આ વધારો ઓછામાં ઓછા ત્રણ મહિના માટે લાગુ થઈ શકે છે. જેમ જ ખાડી દેશોમાંથી સપ્લાય સામાન્ય થશે અને કાચા માલના ભાવ ઘટશે, દવાઓના ભાવ ફરી જૂના સ્તરે લાવવામાં આવશે. કેટલીક કંપનીઓએ 50 ટકા સુધી ભાવ વધારાની માગ કરી હતી, પરંતુ સરકાર માત્ર 10-20%નો નિયંત્રિત વધારો કરવા માગે છે.કંપનીઓ સામે સ્ટોકની પડકાર

કંપનીઓ સોલ્વન્ટ્સનો મોટો સ્ટોક રાખી શકતી નથી, કારણ કે આ કેમિકલ્સ જ્વલનશીલ અને જોખમી હોય છે. સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને અસાધારણ પરિસ્થિતિઓમાં ભાવમાં ફેરફાર કરી શકે છે. એક મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે ભાવ પાછા ઘટાડવામાં આવશે ત્યારે ઊંચા ભાવે બનેલા જૂના સ્ટોકનું શું થશે—આ મુદ્દે હજુ સ્પષ્ટતા નથી.