રામ મંદિર પછી બદરીનાથ ધામમાં પણ દાનમાં ગેરરીતિનો આરોપ

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિનો મામલો ચર્ચામાં છે, ત્યારે હવે બદરીનાથ ધામમાં પણ ચઢાવા અને દાનમાં કથિત ગેરવહીવટના આરોપો બહાર આવ્યા છે. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પર બદરીનાથ ધામમાં ચઢાવા અને દાનમાં કથિત ગેરરીતિ અંગે કરવામાં આવી રહેલા આરોપોને મંદિર સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. આ મામલાની નિષ્પક્ષ અને તથ્યાધારિત તપાસ માટે તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈ પણ કર્મચારી દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મિડિયા પર જેને તેમનો ખાનગી સચિવ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, તે તેમનો ખાનગી સચિવ નથી. સંબંધિત કર્મચારી શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિયમિત સરકારી કર્મચારી છે અને અગાઉ મંદિર સમિતિના ત્રણ અધ્યક્ષો સાથે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જો સોશિયલ મિડિયા પર તેના સંબંધમાં કરવામાં આવેલા આરોપો તપાસમાં સાચા સાબિત થશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

CCTV ફુટેજની તપાસ

આ દરમિયાન શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાંગડે જણાવ્યું કે બીજી જુલાઈની સાંજથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા આ મામલાને લઈને મળેલી કથિત ફરિયાદને આધારે આજે બદરીનાથ મંદિર પરિસરના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતુ કે ઉપલબ્ધ ફુટેજમાં પૂરતી સ્પષ્ટતા નથી. તેમ છતાં મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાની જાણ BKTC અધ્યક્ષને કરવામાં આવી છે. મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું કે અધ્યક્ષના નિર્દેશ મુજબ સંબંધિત કર્મચારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવી રહ્યું છે. ઉપરાંત સમગ્ર મામલાની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ માટે આંતરિક તપાસ સમિતિની રચના કરવાની ભલામણ અધ્યક્ષને મોકલવામાં આવી છે. સમિતિની રચના થયા બાદ તે તમામ તથ્યો, ઉપલબ્ધ પુરાવાઓ અને સંબંધિત પક્ષોના નિવેદનોને આધારે વિગતવાર તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.