PM મોદીની અપીલ બાદ એર ઈન્ડિયાએ વિદેશી ઉડાનો પર કાતર ફેરવી

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આર્થિક પડકારને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ કરી હતી. પીએમની આ અપીલને પ્રતિસાદ આપતા હવે દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં કાપ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે.

ઓગસ્ટ 2026 સુધીનું નવું આયોજન

એર ઈન્ડિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં ફેરફાર કરી રહ્યા છે. નવા આયોજન મુજબ, એરલાઈન્સ ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રાખશે. પાંચ મહાદ્વીપોને સાંકળતા આ નેટવર્ક હેઠળ સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે.

દક્ષિણ-પૂર્વ એશિયા, ફાર ઈસ્ટ અને SAARC: દર અઠવાડિયે 158 ફ્લાઈટ્સ

યુનાઈટેડ કિંગડમ (UK): દર અઠવાડિયે 57 ફ્લાઈટ્સ

યુરોપ: દર અઠવાડિયે 47 ફ્લાઈટ્સ

ઉત્તર અમેરિકા: દર અઠવાડિયે 33 ફ્લાઈટ્સ

ઓસ્ટ્રેલિયા: દર અઠવાડિયે 08 ફ્લાઈટ્સ

મોરિશિયસ (આફ્રિકા): દર અઠવાડિયે 07 ફ્લાઈટ્સ

રૂપિયાનું મૂલ્ય બચાવવા પીએમ મોદીની અપીલ

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશી પ્રવાસો મર્યાદિત કરવા વિનંતી કરી છે. આ પગલા પાછળનો મુખ્ય હેતુ ભારતીય રૂપિયામાં થઈ રહેલા ઘટાડાને રોકવાનો અને અર્થતંત્ર પરનું દબાણ ઘટાડવાનો છે. હાલમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 95 ના સ્તરને વટાવી ગયો છે અને તે ઝડપથી 96 તરફ આગળ વધી રહ્યો છે. વિદેશી હૂંડિયામણની બચત માટે એર ઈન્ડિયાનો આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી

પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ માટે ઈંધણનો ખર્ચ વધતા કામગીરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. એવામાં ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કરવાથી એરલાઈન્સને આર્થિક નુકસાન ઘટાડવામાં મદદ મળશે.