TMC અને ચૂંટણી પંચની વચ્ચે કશ્મકશઃ આક્ષેપ-પ્રતિઆક્ષેપો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે. TMC અને ચૂંટણી પંચ વચ્ચેનું ટેન્શન ઓછું થવાનું નામ નથી લેતું. એક તરફ પાર્ટીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા, તો બીજી તરફ જવાબમાં ચૂંટણી પંચે પણ જાહેર રીતે TMCને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.આ ખેંચતાણ ત્યારે વધુ તીવ્ર લાગી રહી છે કારણ કે રાજ્યનાં મુખ્ય મંત્રી અને TMCનાં સર્વોચ્ચ નેતા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા નીકળ્યાં છે. હકીકતમાં, ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ, મેનકા ગુરુસ્વામી અને સાકેત ગોખલે સહિતનું TMC પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યું હતું.

ચૂંટણી પંચ પહોંચ્યા બાદ રાજ્યસભા સાંસદે આરોપ લગાવ્યો કે માત્ર સાત મિનિટની બેઠક પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે તેમને “અહીંથી બહાર નીકળી જાઓ” એવું કહ્યું હતું. બ્રાયને જણાવ્યું હતું કે અમે તેમને અત્યાર સુધી લખાયેલા નવ પત્રો બતાવ્યા, જેના કોઈ જવાબ મળ્યા નથી. અમે એવા છ ઉદાહરણો આપ્યા જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ ભાજપના પક્ષમાં નિર્ણય લઈ રહ્યા છે. અમે પૂછ્યું હતું કે આવા વાતાવરણમાં નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે શક્ય છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે જે થયું તે શરમજનક છે. અમે માગ કરીએ છીએ કે આજની બેઠકનો વિડિયો જાહેર કરવામાં આવે. આજ સુધી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરે આવું વર્તન કર્યું નથી.

આ ઘટનાક્રમ બાદ ચૂંટણી પંચે સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને TMC પર નિશાન સાધ્યું. પંચે લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી ભયમુક્ત, હિંસા રહિત, ધમકી રહિત, લાલચ રહિત, દરોડા રહિત અને બૂથ તથા સોર્સ જામિંગ વિના જ યોજાશે.

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે ડેરેક ઓ’બ્રાયનને પંચના કક્ષમાં શિસ્ત જાળવવાની વિનંતી કરી હતી. બૂમાબૂમ કરવી અને અભદ્ર વર્તન કરવું યોગ્ય નથી. ગૌરતલબ છે કે TMC અને ચૂંટણી પંચ વચ્ચેનો આ પ્રકારનો વિવાદ નવો નથી. પાર્ટી SIR સહિતના મુદ્દાઓ પર સતત ચૂંટણી આયોજક સંસ્થાને નિશાન બનાવતી રહી છે.