અમદાવાદ: AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) દ્વારા ૭૦ એએમએઝિંગ (70 AMAzing) વર્ષની સફરની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ‘કર્મયોગ’ વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત કેળવણીકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોમાંથી પ્રેરણા આપતા રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સાચી પૂજા એ નિઃસ્વાર્થ કર્મ (કર્મ હી પૂજા) છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કર્મ એ જીવનનો અનિવાર્ય નિયમ છે. પરંતુ જ્યારે વ્યક્તિ પરિણામ કે ફળની આસક્તિ રાખ્યા વિના પોતાની ફરજ બજાવે છે, ત્યારે સામાન્ય કાર્ય પણ આધ્યાત્મિક સમર્પણમાં ફેરવાઈ જાય છે.
પોતાની દૈનિક જવાબદારીઓને ધર્મ, હેતુની પવિત્રતા અને માનવસેવા સાથે જોડવાથી માનસિક તણાવ અને અહંકારથી મુક્તિ મેળવી શકાય છે. રમેશભાઈએ ઉપસ્થિત લોકોને પોતાના કાર્યને બોજ ગણવાને બદલે તેને આંતરિક શાંતિ, ઉત્તમ ચરિત્ર નિર્માણ અને મુક્તિના માર્ગ તરીકે અપનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા GCCIના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.


કાર્યક્રમની શરૂઆત એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિતના વક્તવ્યથી થઈ હતી. ત્યારબાદ એ.એમ.એ.ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શ્રોતાઓનું સ્વાગત પ્રવચન આપ્યું હતું.

