રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વનો નિર્ણય

રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થા અને પેન્સનની ચુકવણી વહેલી કરાશે.

સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે.

આ નિર્ણય અનુસાર, ઑક્ટોબર-2025ના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર-ભથ્થાં/પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. આ પહેલાં 8 ઓક્ટોબર, 2025ના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.