TCS કેસઃ મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ

નાસિકઃ નાસિક TCS કેસમાં બળાત્કાર, યૌન શોષણ અને ધર્માંતરણના આરોપોમાં FIR નોંધાયા પછી 40 દિવસ બાદ TCSની સસ્પેન્ડ કરાયેલી કર્મચારી નિદા ખાનની ગુરુવારે મોડી રાત્રે છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નાસિક SIT, છત્રપતિ સંભાજીનગર ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ કમિશનરેટ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

નિદા ખાન કોણ છે? નાસિક TCS કેસ શું છે?

નિદા ખાન TCSની સસ્પેન્ડ કરાયેલી કર્મચારી છે, જે કંપનીની નાસિક યુનિટમાં કામ કરતી હતી. તેના પર યૌન ઉત્પીડન, માનસિક શોષણ અને મહિલાઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના ગંભીર આરોપો છે. આ કેસમાં પોલીસે અગાઉ છ અન્ય કર્મચારીઓની પણ ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ નિદા ખાન ઘણા દિવસોથી ફરાર હતી અને નાસિક પોલીસની ટીમ તેની શોધખોળ કરી રહી હતી. નિદા ખાન છેલ્લા ચાર દિવસથી નારેગાંવના કૈસર કોલોની વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી હતી. પોલીસ છેલ્લા બે દિવસથી આ ફ્લેટ પર નજર રાખી રહી હતી. તે ત્યાં પોતાનાં માતા-પિતા, ભાઈ અને કાકીના સાથે રહેતી હતી. ત્યાર બાદ તેને JMFC (Judicial Magistrate First Class)ના ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસે તેને કસ્ટડીમાં લઈ ગઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધરપકડ પહેલાં નિદા ખાને પોતાની બે મહિનાની ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરી સુરક્ષા માગી હતી, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. અદાલતે SITની દલીલને માન્ય રાખતાં કહ્યું હતું કે આ કેસની તપાસમાં તેની ભૂમિકા હજુ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. નિદા ખાન સામે નોંધાયેલી FIRમાં નાસિક સ્થિત IT કંપનીના ઓફિસના વાતાવરણ અંગે પણ અનેક ચોંકાવનારા આરોપો કરવામાં આવ્યા છે. પ્રોસિક્યુશન મુજબ ખાન પર મહિલા સહકર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અપનાવવા દબાણ કરવાનો આરોપ છે, જેમાં કપડાં પહેરવાની રીત અને ખાવા-પીવાની આદતો અંગે સલાહ આપવાનો સમાવેશ થાય છે.