આસારામની આજીવનની સજા યથાવત્: સરન્ડર કરવા આદેશ

અમદાવાદઃ સગીર સાથે દુષ્કર્મ કેસમાં આસારામ બાપુને મોટો આંચકો લાગ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે બુધવારે તેમની આજીવન કારાવાસની સજા યથાવત્ રાખી છે. એ સાથે જ કોર્ટે 2018માં નીચલી કોર્ટે આપેલા દોષિત ઠેરવવાના અને સજાના ચુકાદા સામે દાખલ કરાયેલી તેમની અપીલ ફગાવી દીધી છે. જોકે હાઇકોર્ટે તેમને સામૂહિક બળાત્કાર અને આપરાધિક કાવતરાના આરોપોમાંથી રાહત આપતાં બરી કર્યા છે. કોર્ટે આસારામને આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપ્યો છે. હાલમાં તેઓ તબીબી કારણોસર વચગાળાના જામીન પર બહાર છે.

આ ચુકાદો જસ્ટિસ અરુણકુમાર મોંગા અને જસ્ટિસ યોગેન્દ્રકુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામ તેમ જ તેમના સહઆરોપી શરતચંદ્ર અને શિલ્પી દ્વારા દાખલ અપીલો પર સંભળાવ્યો હતો. આસારામની આજીવન કેદની સજા રદ કરવાની અરજી ફગાવતાં બેન્ચે માન્યું હતું કે ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કાર, પોક્સો અધિનિયમ હેઠળ યૌન શોષણ અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળના ગુનાઓ સાબિત થયા છે. જોકે કોર્ટે કહ્યું હતું કે સામૂહિક બળાત્કાર અને આપરાધિક કાવતરા સંબંધિત આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. બીજી તરફ, હાઇકોર્ટે શરતચંદ્ર અને શિલ્પીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ નીચલી કોર્ટે બંનેને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.

આ મામલો વર્ષ 2013નો છે, જ્યારે જોધપુર સ્થિત આશ્રમમાં એક સગીર યુવતી સાથે યૌન શોષણ કરવાનો આરોપ આસારામ પર લાગ્યો હતો. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી અને એપ્રિલ, 2018માં સ્પેશિયલ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવી તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ અપીલો પર દલીલો આ વર્ષે 20 એપ્રિલે પૂર્ણ થઈ હતી. વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત અને અન્ય વકીલો આસારામ તથા તેમના સહયોગીઓ તરફથી હાજર રહ્યા હતા.આ ચુકાદા બાદ પી.સી. સોલંકીએ જણાવ્યું કે હાઇકોર્ટે આસારામની સજા પર કોઈ સ્ટે આપ્યો નથી અને તેમની આજીવન કારાવાસની સજા યથાવત્ છે. તેમણે વધુમાં કહ્યું કે પીડિતાની સલાહ બાદ સહઆરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.