દિમાગી નક્સલવાદીઓ તકની શોધમાં છેઃ PM મોદી

નવી દિલ્હી: દેશના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો હતો. તેમણે 76 મિનિટના ભાષણમાં નક્સલવાદના અંતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે 2014 પહેલાં નક્સલવાદ-માઓવાદે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું હતું. મને ખુશી છે કે જ્યાં ક્યારેક ગોળીઓ ચાલતી હતી, ત્યાં આજે વિશ્વાસ, વિકાસ અને પ્રયાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે. અમે આ સમસ્યાનો અંત લાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે નક્સલવાદનો અંત આવ્યો છે, પરંતુ દેશને ‘દિમાગી નક્સલીઓ’થી બચાવવો પડશે, કારણ કે આવા લોકો દેશના યુવાનોને ભટકાવવાનો પ્રયાસ કરે છે.

દિમાગી નક્સલીઓ તકની શોધમાં છે: PM મોદી

નક્સલવાદ અંગે તેમણે કહ્યું હતું કે વર્ષો સુધી માઓવાદી વિચારધારા ધરાવતા લોકો દેશની સત્તાના ગલિયારાઓમાં જમાવટ કરીને બેઠા હતા. આ માઓવાદી વિચારધારાએ સરકારી સમિતિઓમાં સલાહકારોની ભૂમિકા ભજવીને નીતિઓને પણ પ્રભાવિત કરી હતી.

તેમણે કહ્યું હતું કે ‘દિમાગી નક્સલીઓ’ હજુ પણ હાજર છે અને આવી વિચારધારા ધરાવતા લોકો તકની શોધમાં છે. તેઓ હિંસા અને અશાંતિનો માર્ગ તૈયાર કરી રહ્યા છે તથા સમાજને ખોટા રસ્તે લઈ જવા માટે વિવિધ પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે આવા ‘દિમાગી નક્સલીઓ’ની ઓળખ કરવી પડશે. તેમને અલગ-થલગ કરવા પડશે અને દેશના યુવાનોને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મુખ્ય ધારાની પહેલ સાથે જોડવા પડશે.

નક્સલવાદ સામે 3500થી વધુ જવાનો શહીદ થયા

તેમણે કહ્યું હતું કે નક્સલવાદે ચાર દાયકા સુધી ભારતના મોટા વિસ્તાર અને ત્યાંની મોટી વસ્તીને બંદૂકની અણીએ દબાવી રાખી હતી. તેણે બંધારણની ધજ્જિયાં ઉડાવી દીધી હતી. દેશના સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે 3500થી વધુ પોલીસ અને સુરક્ષા દળના જવાનો શહીદ થયા છે.

વિકસિત ભારતલક્ષ્ય સાકાર કરવા આગળ આવવાનું આહવાન

તેમણે ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકને આગળ આવવા આહવાન કર્યું હતું.

મહિલા આરક્ષણ લાગુ કરવામાં તમામ પક્ષો સહયોગ કરે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ રાજકીય પક્ષોને મહિલા આરક્ષણ લાગુ કરવામાં સહયોગ આપવા અપીલ કરી. તેમણે કહ્યું હતું કે મહિલાઓને તેમનો અધિકાર મળવો જોઈએ, જેથી તેઓ લોકસભા અને વિધાનસભાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મેળવી શકે અને દેશની નીતિ ઘડવામાં પોતાનું યોગદાન આપી શકે.