BSP MLA, સહયોગીઓનાં ઘરથી રૂ. 10 કરોડ રોકડ જપ્ત

લખનૌઃ ઉત્તર પ્રદેશના એકમાત્ર BSP ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોનાં નિવાસસ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બુધવારે શરૂ થયેલી કાર્યવાહી ગુરુવારે પણ ચાલુ રહી. ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોનાં ઘરોમાંથી અંદાજે 10 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. લખનૌના વિપુલખંડ સ્થિત ઉમાશંકર સિંહના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અન્ય કેટલાંક સ્થળોએ હજુ કાર્યવાહી ચાલુ છે.

30થી વધુ સ્થાનોઓ પર એકસાથે દરોડા

આવકવેરા વિભાગે લખનૌ, બલિયા, સોનભદ્ર, કૌશાંબી, મિરઝાપુર અને પ્રયાગરાજ સહિત 30થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. 50થી વધુ અધિકારીઓની ટીમ સવારે 11 વાગ્યે આ સ્થળોએ પહોંચી હતી અને મોડી રાત સુધી તપાસ ચાલુ રાખી હતી.

CAG રિપોર્ટમાં થયો હતો ખુલાસો

ઉમાશંકર સિંહ પીડબ્લ્યુડી અને ખનન સંબંધિત કાર્યો માટે જાણીતા છે. તેમની બે કંપનીઓ — વિદ્યાર્થી શક્તિ કન્સ્ટ્રક્શન કંપની અને સાંઈ રામ એન્ટરપ્રાઇઝિસ — કાર્યરત છે. ગયા વર્ષે CAGની રિપોર્ટમાં જણાવાયું હતું કે સોનભદ્રમાં ગેરકાયદે ખનનને કારણે અંદાજે 60 કરોડ રૂપિયાનું આવકનું નુકસાન થયું હતું. આ જ રિપોર્ટને આધારે આવકવેરા વિભાગે ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.

 જાનૈયા બનીને પહોંચ્યા અધિકારીઓ

પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ ઉમાશંકર સિંહના નિવાસસ્થાને જાનૈયા બનીને પહોંચ્યા હતા. ગાડીઓ પર “મહેન્દ્ર કુમાર સાથે સંગીતા કુમારી” નામનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં જેથી કોઈને શંકા ન જાય. આ વ્યૂહરચના હેઠળ અધિકારીઓ સીધા નિવાસસ્થાને પહોંચી ગયા અને અચાનક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ મળ્યા હોવાનું કહેવાય છે. તેમાં દર મહિને નક્કી રકમ મેળવનારા અધિકારીઓનાં નામ પણ સામેલ હોવાનું જણાવાય છે. કહેવામાં આવે છે કે ખનન વ્યવસાયમાં કેટલાક બ્યુરોક્રેટ્સની પણ સંડોવણી છે અને તેમણે પોતાની કાળી કમાણીનું તેમાં રોકાણ કર્યું છે. જોકે ઉમાશંકર સિંહના લખનૌ અને બલિયાનાં નિવાસસ્થાનો તેમજ સોનભદ્ર સ્થિત તેમની કંપનીના કચેરી પર થયેલા દરોડા અંગે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે અસંતોષ વ્યક્ત કર્યો છે.