નવી દિલ્હીઃ વેનેઝુએલામાં સદીનો સૌથી વિનાશકારી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 7.1 અને 7.5 છે આ બે શક્તિશાળી ભૂકંપોએ ભારે વિનાશ સર્જ્યો છે. હજારો લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને દેશમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભૂકંપના સામે આવેલા વિડિયોમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત એરપોર્ટને ભારે નુકસાન થયું હોવાનું અને ઘણાં મકાનો તૂટી પડ્યાં હોવાનું જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ વેનેઝુએલાની સાથે લેટિન અમેરિકાના અન્ય કેટલાક દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનમાં પણ ધરતી ધ્રૂજી હતી, જોકે ત્યાં કોઈ મોટા નુકસાનના અહેવાલો મળ્યા નથી. નિષ્ણાતો આ ભૂકંપને વેનેઝુએલાના ઇતિહાસમાં સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે.
કેટલા લોકોનાં મોત?
પ્રારંભિક અંદાજ મુજબ મૃત્યુઆંક 10,000થી 1,00,000 વચ્ચે હોવાની શક્યતા છે. જોકે આ આંકડો હજુ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઊંચી ઇમારતોને ભારે નુકસાન
ઘણા વિડિયોમાં ઇમારતોની દીવાલોમાં મોટી તિરાડો અને તૂટેલા ભાગો જોવા મળ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ બંને ભૂકંપોના કારણે અનેક વિસ્તારોમાં ગંભીર માળખાકીય નુકસાન થયું છે.
વેનેઝુએલામાં મેટ્રો સેવા બંધ
વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે સરકારી ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે હાલ માટે ટ્રેન અને મેટ્રો સેવાઓ બંધ રાખવામાં આવશે.

ટ્રમ્પે શું કહ્યું?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલામાં આવેલા આ બે મોટા ભૂકંપ અત્યંત વિનાશકારી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકા દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર, ઇચ્છુક અને સંપૂર્ણપણે સક્ષમ છે.
Deeply saddened by the devastation caused by the severe earthquakes in Venezuela.
On behalf of the people of India, I extend our heartfelt condolences to the Government and people of Venezuela, especially to the families who have lost their loved ones. We pray for the speedy…
— Narendra Modi (@narendramodi) June 25, 2026
વિનાશકારી ભૂકંપ પર PM મોદી વ્યક્ત કર્યું દુઃખ
વડા પ્રધાન મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ પર સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારત દરેક સંભવિત મદદ માટે તૈયાર છે. ભારત સંકટની આ ઘડીમાં વેનેઝુએલાની જનતાની સાથે ઊભો છે, એમ તેમણે કહ્યું હતું.
જાપાનમાં પણ ભૂકંપના ઝટકા
જાપાનના ઉત્તર ભાગમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના ઝટકા ટોક્યો સહિત દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.




