JNUમાં ‘મોદી-શાહ તેરી કબર ખુદેગી’ના નારા લાગ્યા

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં એક વખત ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન અને વાંધાજનક નારાબાજી કરવામાં આવી છે. આ પ્રદર્શન દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને દેશદ્રોહના આરોપી શરજિલ ઇમામના સમર્થનમાં થયું હતું. અહેવાલો મુજબ વિદ્યાર્થીઓએ ‘મોદી-શાહ તેરી કબર ખુદેગી’, ‘અંબાણી રાજની કબર ખુદેગી, JNUની ધરતી પર’ અને ‘અદાણીની કબર ખુદેગી, JNUની ધરતી પર’ જેવા નારા લગાવ્યા, જેને કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઉલ્લેખનીય છે કે દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ગણાતી JNU છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત વિવાદોમાં રહી છે.

શરજિલ અને ખાલિદ સામે કેસ

અહેવાલો અનુસાર વિવાદિત નારાબાજી અને પ્રદર્શન રાત્રિના સમયે સાબરમતી હોસ્ટેલની બહાર થયું હતું. આ પ્રદર્શનમાં ડાબેરી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું. એ દરમિયાન વિદ્યાર્થીઓએ વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી શાહ વિરુદ્ધ વાંધાજનક નારા લગાવ્યા. શરજિલ ઇમામ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, કારણ કે તેણે ‘ચિકન નેક’ કાપીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. જ્યારે ઉમર ખાલિદ પર દિલ્હી રમખાણોમાં ભૂમિકા હોવાનો આરોપ છે.

પહેલાં પણ JNUમાં થઈ છે વિવાદિત નારાબાજી

ઉલ્લેખનીય છે કે ઉમર ખાલિદ અને શરજિલ ઇમામ બંને હાલમાં જેલમાં બંધ છે. JNU અગાઉ પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. અનેક પ્રસંગોએ યુનિવર્સિટીમાં વાંધાજનક નારાબાજીની ઘટનાઓ સામે આવી છે. સાબરમતી હોસ્ટેલની બહાર થયેલી આ ઘટનાએ ફરી એક વખત JNUને ચર્ચામાં લાવી દીધું છે.

નારાબાજી પર BJP નેતાઓની પ્રતિક્રિયા

JNUમાં થયેલી નારાબાજી પર BJP નેતા અને મંત્રી કપિલ મિશ્રાએ ‘X’ પર લખ્યું, ‘સાંપોના ફન કચડી રહ્યા છીએ તો સપોલા બિલબિલા રહ્યા છે. JNUમાં નક્સલીઓ, આતંકીઓ અને દંગાઈઓના સમર્થનમાં ભદ્દા નારા લગાવનારા હતાશ છે, કારણ કે નક્સલીઓનો અંત લાવવામાં આવી રહ્યો છે, આતંકીઓને નાબૂદ કરવામાં આવી રહ્યા છે અને દંગાઈઓને કોર્ટ ઓળખી ચૂકી છે.