નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસની અંદર ફરી એક વાર મુખ્ય મંત્રી બદલાવાની ચર્ચાઓ તેજ બની છે. તેનું કારણ એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી હવે નેતૃત્વ પરિવર્તન અંગે વિચારણા કરી રહી છે. જોકે હજી સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે દિલ્હી બોલાવ્યા છે, પરંતુ બેઠક કયા મુદ્દે છે તેની માહિતી તેમને આપવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે અટકળો તો ચાલતી જ રહે છે.
બીજી તરફ, કર્ણાટક કોંગ્રેસના બીજા મોટા નેતા અને ઉપ મુખ્ય મંત્રી ડીકે શિવકુમારે પણ સંયમિત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી બોલાવશે તો તેઓ પણ દિલ્હી જશે. એ સાથે જ નેતૃત્વ બદલવાના સવાલ પર તેમણે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. હકીકતમાં, 2023માં કોંગ્રેસની જીત બાદથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે “રોટેશન CM” અંગે કોઈ આંતરિક સમજૂતી થઈ હતી. એટલે કે થોડા સમય પછી મુખ્ય મંત્રીપદ શિવકુમારને સોંપવામાં આવી શકે. જોકે કોંગ્રેસે ક્યારેય ખુલ્લેઆમ આવી કોઈ સમજૂતીને સ્વીકારી નથી. એ સમયે બંને નેતાઓએ મુખ્ય મંત્રી પદ માટે મજબૂત દાવેદારી રજૂ કરી હતી. સિદ્ધારમૈયાને લોકપ્રિય અને અનુભવી નેતા માનવામાં આવ્યા, જ્યારે શિવકુમારને સંગઠન સંભાળવા અને મુશ્કેલ સમયમાં કોંગ્રેસને એકજૂટ રાખવાનું શ્રેય મળ્યું. અંતે પાર્ટીએ સિદ્ધારમૈયાને મુખ્ય મંત્રી બનાવ્યા અને શિવકુમારને ઉપ મુખ્ય મંત્રીની જવાબદારી સોંપી.
હવે આ દિલ્હી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોંગ્રેસ કર્ણાટકમાં આંતરિક ખેંચતાણને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટક દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું સૌથી મોટું રાજ્ય છે, તેથી પાર્ટી અહીં કોઈ પણ પ્રકારની રાજકીય અસ્થિરતા ઇચ્છતી નથી.વિપક્ષી ભાજપ સતત કોંગ્રેસ પર આંતરિક લડાઈ અને સત્તા માટેની ખેંચતાણના આરોપ લગાવતી રહી છે. બીજી તરફ, શિવકુમારના સમર્થકોનું કહેવું છે કે જો કોઈ સમજૂતી થઈ હતી, તો હવે તેમને તક આપવી જોઈએ.




