મુખ્યમંત્રી પાટનગરને આપી ૧,૮૪૮ કરોડના કામોની ભેટ; ૪૮.૨૬ કરોડના નવા કામોની જાહેરાત

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે રૂ. ૧,૮૪૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની ભેટ આપી. આ સાથે જ નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૪૮.૨૬ કરોડના નવા આઇકોનિક કામોની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. ૭૯૮ કરોડ તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂ. ૧,૦૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ સિવાય જાહેર પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા ૩૦ નવીન ઈ-બસોને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘નાગરિક દેવો ભવ’ના મંત્ર સાથે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારની યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સેચ્યુરેશનના અભિગમથી કામ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતની સુદૃઢ નાણાકીય વ્યવસ્થાના કારણે ગાંધીનગર કે રાજ્યના કોઈપણ વિકાસકાર્ય માટે નાણાંની અછત નહીં રહેવા દેવાય.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર સામેના કડક વલણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર એક સમયે માત્ર સચિવાલય પૂરતું મર્યાદિત હતું. જ્યારે આજે શિક્ષણ, ઉદ્યોગ, GIFT City અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું મોડર્ન શહેર બન્યું છે.

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને ધારાસભ્ય રીટાબેન પટેલે પાટનગરના વિકાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તથા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.