CM નીતીશકુમારે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું

પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રીના એલાન માટે હવે માત્ર થોડા જ કલાકો બાકી રહ્યા છે. તે પહેલાં મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે આંબેડકરની જયંતી પર તેમની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.  ત્યાર બાદ પોતાના મંત્રીઓ સાથે બેઠક યોજી. કેબિનેટ બેઠક બાદ તેમણે મંત્રિમંડળ વિઘટિત કરવાની ભલામણ પણ કરી છે. મુખ્ય મંત્રી નીતીશકુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને સાંજે NDA વિધાનમંડળ દળની બેઠક યોજાશે.

મુખ્યમંત્રી પદની દોડમાં સમ્રાટ ચૌધરી સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય NDA વિધાનમંડળ દળની બેઠકમાં જ લેવાશે. મુખ્ય મંત્રીના નામની જાહેરાત થયા બાદ શપથવિધિની પ્રક્રિયા શરૂ થશે, જે 15 એપ્રિલે યોજાશે

બિહાર પર હવે ગુજરાતનું શાસનઃ તેજસ્વી યાદવ

RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે જો નીતીશકુમાર મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી રહ્યા છે, તો તેઓ મહાત્મા ગાંધીની હત્યા કરનારાઓની વિચારધારા ધરાવતી પાર્ટીને સ્થાપિત કરી રહ્યા છે. પહેલાં મુખ્ય મંત્રી પદ માટે બાપુનું નામ લેવામાં આવતું હતું, પરંતુ હવે તેઓ ભાજપને તક આપી રહ્યા છે. તેમણે નાથુરામ ગોડસેની વિચારધારા ધરાવતી પાર્ટીને તક આપી છે. તેઓ કર્પૂરીજીને અપમાન કરનારાઓને સ્થાપિત કરી રહ્યા છે. જે કોઈ સરકાર બનાવશે અને મુખ્ય મંત્રી બનશે, તે જનતાની પસંદ નહીં હોય. મુખ્ય મંત્રી કોઈ પણ બને, હવે બિહાર પર ગુજરાતનું શાસન રહેશે.

;

બીજી તરફ, બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને બિહાર ભાજપ અધ્યક્ષ સંજય સરાવગી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મળવા માટે પટનામાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.

બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલ થયું છે અને તેઓ બિહારના નવા મુખ્ય મંત્રી બનશે એવી માહિતી સૂત્રોએ આપી છે. આજે બિહારમાં નીતીશકુમારનો યુગ સમાપ્ત થશે.