ચેન્નઈઃ તામિલનાડુમાં થલપતિ વિજયની સરકાર વિશ્વાસમત જીતવામાં સફળ રહી છે. વિજયના સમર્થનમાં 144 મત પડ્યા હતા. આ પહેલાં 59 સભ્યો ધરાવતી DMKએ વિશ્વાસમતનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે તામિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 આંકડો જરૂરી છે. TVKએ 108 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે DMKને 59 બેઠકો મળી હતી. AIADMKએ 47 બેઠકો જીતી હતી. કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી અને PMKને ચાર બેઠકો પર વિજય મળ્યો હતો. DMKના બહિષ્કાર બાદ વિધાનસભામાં બહુમતીનો આંકડો વધુ ઘટી ગયો હતો, જેને કારણે વિજય માટે ફ્લોર ટેસ્ટ માત્ર ઔપચારિકતા બની ગયો હતો.
ભાજપ રહી ‘તટસ્થ’
ફ્લોર ટેસ્ટ દરમિયાન DMKએ માત્ર બહિષ્કાર જ કર્યો નહોતો, પરંતુ મતદાનથી પણ દૂર રહી હતી. વિધાનસભામાં ભાજપનો માત્ર એક જ ધારાસભ્ય છે અને તેમણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘તટસ્થ’ વલણ અપનાવ્યું હતું. વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મુખ્ય મંત્રી વિજયે વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
AIADMK બે જૂથમાં વહેંચાઈ
AIADMKના મહાસચિવ ઈ. કે. પલાનીસામીએ વિજય સરકારના વિશ્વાસમતનો વિરોધ કર્યો હતો. જોકે પાર્ટીના વિરોધી નેતા એસ. પી. વેલુમણીએ TVK સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
વિજયને આ રીતે મળ્યો બહુમતીનો આંકડો
વિજય સરકારને કોંગ્રેસ, CPI, CPM, VCK, IUML અને AMMKનું સમર્થન મળ્યું હતું. બીજી તરફ ભાજપના ઉધગમંડલમથી જીતેલા એકમાત્ર ધારાસભ્ય ભોજરાજન એમે તટસ્થ વલણ અપનાવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં 23 એપ્રિલે મતદાન થયું હતું અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં. વિજયની પાર્ટી 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.
TVKના સમર્થનમાં AIADMKના ધારાસભ્યો
AIADMKના 24 ધારાસભ્યોએ વિજય સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે AIADMKનો એક ધારાસભ્ય મતદાન દરમિયાન ગેરહાજર રહ્યો હતો. એ ઉપરાંત પાંચ ધારાસભ્યોએ તટસ્થ વલણ અપનાવ્યું હતું. PMKના ચાર અને ભાજપના એક ધારાસભ્યે પણ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો.




