બેંગલુરુઃ કર્ણાટકની શાળાઓમાં હવે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી શકશે. સિદ્ધારમૈયા સરકારે ભાજપ શાસન દરમિયાન લાગુ કરાયેલો પ્રતિબંધ રદ કરી દીધો છે. કોંગ્રેસ સરકારે હવે વિદ્યાર્થીઓને નિર્ધારિત યુનિફોર્મ સાથે પોતાની ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલાં પ્રતીકો પહેરવાની મંજૂરી આપી છે. ફક્ત હિજાબ જ નહીં, હવે પાઘડી અને જનોઈ પહેરવાની પણ છૂટ મળશે. આ નવો આદેશ ધોરણ એકથી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે અને હાલના શૈક્ષણિક સત્રથી જ અમલમાં આવી ગયો છે.
કર્ણાટક સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આદેશ મુજબ હવે વિદ્યાર્થીઓ તેમની શાળાની યુનિફોર્મ સાથે મર્યાદિત પરંપરાગત અને પ્રથાગત પ્રતીકોનો ઉપયોગ કરી શકશે. તેમાં ફક્ત હિજાબ જ નહીં, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોઈ રોકટોક વિના પાઘડી, જનોઈ અને સ્કાર્ફ પણ પહેરી શકશે. શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રી મધુ બાંગરપ્પાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો હેતુ દરેકને સમાન તક આપવાનો છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીને તેની ધાર્મિક માન્યતાઓને કારણે શિક્ષણથી વંચિત ન રહેવું પડે.
ભાજપ સરકારના 2022ના નિર્ણયની વાપસી
ફેબ્રુઆરી, 2022માં કર્ણાટકની ભાજપ સરકારે એક આદેશ જાહેર કરીને શાળાઓમાં હિજાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે સરકારનું કહેવું હતું કે વિદ્યાર્થીઓએ ફક્ત નિર્ધારિત યુનિફોર્મનું જ પાલન કરવું જોઈએ. આ પ્રતિબંધ બાદ રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન થયાં હતાં અને અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને વર્ગખંડોમાં પ્રવેશથી રોકવામાં આવી હતી. કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ આ નિર્ણયને પાછો ખેંચવાનો વાયદો કર્યો હતો, જેના પર હવે સત્તાવાર રીતે અમલ કરવામાં આવ્યો છે.
મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો
હિજાબ વિવાદ કર્ણાટક હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. માર્ચ, 2022માં કર્ણાટક હાઈકોર્ટે ભાજપ સરકારના નિર્ણયને યથાવત્ રાખતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો ઇસ્લામમાં “અનિવાર્ય ધાર્મિક પ્રથા”નો ભાગ નથી. ત્યાર બાદ ઓક્ટોબર, 2022માં સુપ્રીમ કોર્ટે આ મામલે વિભાજિત નિર્ણય આપ્યો હતો. જેના પછી કેસને મોટી બેંચ સમક્ષ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલની સરકારના આ વહીવટી આદેશથી હવે કાનૂની જટિલતાઓ વચ્ચે વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત મળી છે.




