નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તામિલનાડુ વીજળી બોર્ડને આકરી ફટકાર લગાવી છે. તામિલનાડુ વીજળી બોર્ડ ગ્રાહકોને મફત વીજળી આપવાની વાત કરી રહ્યું હતું. આવા જ એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે રાજ્યો મફત સુવિધાઓ આપવાના કામમાં લાગી ગયાં છે, જેને કારણે આર્થિક વિકાસ પર અસર પડી શકે છે.
ફ્રીબીઝ (મફત રેવડી) સંસ્કૃતિથી નારાજ સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ સૂર્યકાંત સહિત અન્ય ન્યાયાધીશોએ મામલાનો નોંધ લેતાં જણાવ્યું હતું કે દેશનાં અનેક રાજ્ય પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યાં છે, છતાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાને બદલે મફત સુવિધાઓ વહેંચવામાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોર્ટે આગળ કહ્યું હતું કે જે લોકો ચુકવણી કરવામાં અસમર્થ છે તેમની મદદ કરવી સમજાય તેવી બાબત છે, પરંતુ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ કર્યા વગર સૌને મફત સુવિધા આપવી ખોટી નીતિ છે.
ભારત માટે આપણે કેવા કાર્ય સંસ્કાર ઈચ્છીએ છીએ?
કોર્ટ અહીં અટકી નહીં. કોર્ટે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સવારથી સાંજ સુધી મફત ભોજન, સાઇકલ અને વીજળી મળતી રહેશે, તો લોકોમાં કામ કરવાની ભાવના ઓછી થઈ જશે. સુનાવણી દરમિયાન કોર્ટે તમામ રાજ્યોને સલાહ આપી કે મફત વસ્તુઓ વહેંચવાને બદલે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે ભારત માટે આપણે કેવા કાર્ય સંસ્કાર ઇચ્છીએ છીએ?
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કેમ મહત્વપૂર્ણ?
હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણીમાં નક્કી થશે કે મફત વીજળી યોજનાઓ પર કયા નિયમો લાગુ કરી શકાય. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ખાસ કરીને તેથી મહત્વપૂર્ણ છે કે ચૂંટણી સમયે ઘણાં રાજ્ય આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે. દિલ્હીમાં એક સમયે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પણ મફત વીજળીનું વચન આપ્યું હતું. ત્યાર બાદ અન્ય રાજ્યોમાં પણ આવી જાહેરાતો થવા લાગી. જોકે સરકારી આંકડા દર્શાવે છે કે ઘણાં રાજ્ય દેવાંના બોજ હેઠળ દબાયેલાં છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત નથી.




