સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો

અમદાવાદ: શહેરની એક જાણીતી એકેડમીમાં ક્રિકેટના લેજેન્ડ ગણાતા સચિન તેંડુલકરે હાજર રહીને ત્યાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો. SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમી શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ શંકુસ ફાર્મમાં આવેલી છે. અહીં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન સચિને બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે સંવાદ સાધ્યો હતો.બાળકો સાથે મેદાનમાં જોડાઈને સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી. ઘણા લોકોએ આ અનુભવને જીવનમાં એક જ વાર મળતી તક ગણાવી હતી.કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, “કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.”

આ એકેડમી વધી રહેલી એસ.આર.ટી.10 ઇકોસિસ્ટમનો એક ભાગ છે, જે પ્રોફેશનલ કોચિંગ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી ખેલાડી તાલીમ કાર્યક્રમો દ્વારા પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. નવી મુંબઈ ખાતે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી બાદ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે.

એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું કે, “આજનો દિવસ અમારાં બધાં માટે અત્યંત ખાસ રહ્યો હતો. સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. આ એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ, શિસ્ત અને સતત સુધારાની પ્રતિબદ્ધતાના પાયા પર ઊભી છે અને તેમની હાજરીએ આ મૂલ્યોને જીવંત બનાવી દીધા હતા. આજે અમે જે ઉત્સાહ અને ઊર્જા નિહાળી છે, તે આ યુવા ખેલાડીઓના મનમાં લાંબા સમય સુધી રહેશે.”