વંદે માતરમ પર CWCના નિર્ણયથી અમિત શાહ ભડક્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે પાર્ટીના કાર્યક્રમોમાં વંદે માતરમના માત્ર પ્રથમ બે શ્લોક જ ગાવામાં આવશે. આ મુદ્દે હવે ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું  કે હું દેશને યાદ અપાવવા માગું છું કે 1937માં મુસ્લિમોને ખુશ કરવા માટે વંદે માતરમને વિભાજિત કરીને કોંગ્રેસે દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીની કાર્ય સમિતિએ એક આશ્ચર્યજનક અને દેશવિરોધી નિર્ણય લીધો છે. તેમણે પોતાની પાર્ટીના 1937ના ઠરાવને અનુસરીને મહાન વંદે માતરમ ગીતના માત્ર બે જ શ્લોક ગાવાનો નિર્ણય કર્યો છે. હું આ સમયે દેશને યાદ અપાવવા માગું છું કે 1937માં કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોને ખુશ કરવા માટે વંદે માતરમના બે ટુકડા કરીને દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. ત્યાંથી જ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને મજબૂતી મળી હતી અને ત્યાર બાદ દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનો જન્મ થયો હતો.

તેમણે આગળ કહ્યું હતું કે વંદે માતરમના 150મા વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે સુધારો કરીને બંકિમ બાબુની અમર કૃતિને સંપૂર્ણ ગીત તરીકે ગાઈને રાષ્ટ્રીય એકતાને ફરી એક વાર મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ સરકારી કાર્યક્રમોમાં તેને સંપૂર્ણ રીતે ગાવાનો જે નિર્ણય લીધો છે, તેને કાનૂની સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ગઈ કાલે આ નિર્ણયની અવગણના કરવાનો નિર્ણય લીધો છે.

અમિત શાહે રાહુલ ગાંધી પર પણ કર્યો હુમલો

ગૃહ મંત્રીએ રાહુલ ગાંધી પર પણ તુષ્ટિકરણના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું હતું કે મને તો ખૂબ આશ્ચર્ય થાય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર આ દેશમાં તુષ્ટીકરણના રાજકારણને જોરશોરથી આગળ વધારી રહી છે. હું દેશની જનતાને અપીલ કરવા માગું છું કે એક વખત આ દેશે વંદે માતરમના બે ટુકડા કરવાની ભૂલ કરી હતી અને તેનાં ગંભીર પરિણામો આપણે ભોગવ્યાં છે.

તેમણે દેશની જનતાને એકજૂથ થવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે હવે દેશની જનતા એકજૂથ થાય અને કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણય સામે અવાજ ઉઠાવે. હવે આ દેશમાં તુષ્ટીકરણનું રાજકારણ નહીં ચાલે.