લવ મેરેજ માટે દીકરીએ માતા-પિતાની હત્યા કરી

હૈદરાબાદઃ તેલંગાણામાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી નક્કાલા સુરેખા પ્રેમવિવાહને લઈને ખૂબ પરેશાન હતી, કારણ કે તેનાં માતા-પિતા આ સંબંધ માટે તૈયાર નહોતાં. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નર્સ દીકરીએ તેમને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો અને પોતાનાં જ માતા-પિતાને ઝેર આપી દીધું હતું.

આ ઘટના તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં બની છે, જ્યાં 20 વર્ષીય સુરેખાએ પોતાના પ્રેમવિવાહનો વિરોધ કરતાં માતા-પિતાને ઝેર આપ્યું હતું.

માતા-પિતાએ સંબંધનો કર્યો હતો વિરોધ

આરોપી સુરેખા છેલ્લા કેટલાક સમયથી એક સંબંધમાં હતી અને પોતાના સાથી સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે તેના માતા-પિતાએ આ સંબંધનો આકરો વિરોધ કર્યો હતો, જેને કારણે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ પરિવારમાં ઝઘડા સામાન્ય બની ગયા હતા અને છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ સતત વધતો જઈ રહ્યો હતો. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો હતો કે ગુસ્સા અને હતાશાના આવેશમાં આવીને સુરેખાએ માતા-પિતાની હત્યાની યોજના બનાવી હતી.

માતા-પિતાને આપ્યા ઓવરડોઝનાં ઇન્જેક્શન

નર્સિંગમાં ગ્રેજ્યુએટ સુરેખાએ કથિત રીતે તે હોસ્પિટલમાંથી2.5 મિલીલીટરના ચાર શીશીઓ ચોરી હતી. તેણે માતા-પિતા- બંનેને ઇન્જેક્શન મારફતે 5 મિલીલિટરનો ઊંચો ડોઝ આપ્યો—એક ઇન્જેક્શન પોતાની માતાને માંસપેશીમાં અને બીજું પોતાના પિતાને નસમાં આપ્યું હતું. એ પછી માતા-પિતાની તબિયત અચાનક બગડી ગઈ અને તેઓ બેહોશ થઈ ગયા. તેમને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

એ પછી આવેલા મેડિકલ રિપોર્ટમાં તેમના શરીરમાં ઝેરી પદાર્થોની હાજરીની પુષ્ટિ થઈ, જેને કારણે શંકા વધુ ઘેરી બની. પોલીસે તપાસ શરૂ કરી અને પરિવારના સભ્યો તથા પડોશીઓની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન સુરેખાએ કથિત રીતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.