રાહુલ ગાંધી, ખડગે સહિત વિરોધ પક્ષોનું SIR મુદ્દે પ્રદર્શન

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આજે  બીજો દિવસ છે. દિવસની શરૂઆત વિરોધ પક્ષના હોબાળા સાથે થઈ છે. ઇન્ડિયા બ્લોકના નેતાઓ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં સંસદ પરિસરમાં ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. સૌના હાથમાં ‘STOP SIR’નાં બેનર છે અને નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદસભ્ય પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો છે.

સંસદ પરિસરમાં ગૂંજ્યા નારા

વિપક્ષના નેતાઓએ SIRના વિરોધમાં પોતાના હાથોમાં ‘STOP SIR, STOP VOTE CHORI’ લખેલા બેનર પકડ્યા છે. એસાથે જ તેઓ તાનાશાહી બંધ કરો જેવા નારા લગાવી રહ્યા છે.

સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી

SIRના વિરોધ અંગે JMMનાં સાંસદ મહુઆ માઝીએ કહ્યું કે હકીકત તો એ છે કે સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી. તેઓ સત્રના કામકાજના દિવસો બગાડતા રહે છે અને વિપક્ષ પર આરોપ મૂક્તા રહે છે. અમે SIR મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવા માટે વિરોધ કરી રહ્યા છીએ.

બીજી તરફ સરકારે કહ્યું છે કે તે ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેના માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. રાજ્યસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી સુધારાઓ પર ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેમને જવાબ આપવા માટે થોડો સમય આપવામાં આવે.

SIR શા માટે થઈ રહ્યું છે?

બિહાર બાદ ચૂંટણી પંચ દેશનાં 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નું કામ કરાવી રહ્યું છે. આ પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને અપડેટ કરવામાં આવી રહી છે. નવા મતદારોનાં નામ ઉમેરવામાં આવી રહ્યાં છે અને મૃત્યુ પામેલા લોકોનાં નામ કાઢવામાં આવી રહ્યા છે. એ સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે એક જ વ્યક્તિ બે જગ્યાએથી મતદાર ન બને.