નારાજ શશિ થરૂર કોંગ્રેસની બેઠકથી દૂર રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કેરળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે યોજાનારી કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક પહેલાં શશિ થરૂરના નારાજ હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરૂર આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે યોજાનારી બેઠકમાં સામેલ નહીં થાય અને હાલ કેરળમાં જ હાજર છે.
કેરળ મુદ્દે આજે મહત્વની બેઠક

દિલ્હીમાં આજે બપોરે કેરળના વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ચર્ચા છે કે તાજેતરમાં કોચીમાં યોજાયેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરને ‘યોગ્ય સન્માન’ ન મળવાને કારણે તેઓ પાર્ટી નેતૃત્વથી નારાજ છે.

 નારાજગીનું કારણ શું?

કેરળમાં યોજાયેલી રાહુલ ગાંધીની મહાપંચાયત દરમિયાન થરૂર સાથે કરવામાં આવેલા વર્તનથી તેઓ અસંતોષમાં છે. કહેવામાં આવે છે કે કાર્યક્રમમાં તેમને રાહુલ ગાંધી પહોંચે તે પહેલા પોતાનું ભાષણ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેને થરૂરે અપમાનજનક ગણાવ્યું હતું.

દિલ્હીની બેઠકથી અંતર

આ જ નારાજગીને કારણે તેમણે આજે દિલ્હીની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસ નેતૃત્વ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ મહત્વપૂર્ણ બેઠકમાં થરૂરની ગેરહાજરી, હાઈ-સ્ટેક્સ રાજ્ય ચૂંટણી પહેલાં પાર્ટીની અંદર ચાલી રહેલા આંતરિક મતભેદોની તરફ સંકેત કરે છે. કોંગ્રેસનાં સૂત્રોએ સંકેત આપતાં જણાવ્યું કે થરૂર હાલમાં રાજ્ય તેમજ કેન્દ્રીય નેતૃત્વ બંનેથી નારાજ છે, જેને કારણે તેમણે બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ ઘટનાએ પાર્ટીના કાર્યકર્તાઓમાં આંતરિક શિસ્ત અને વરિષ્ઠ નેતાઓના સન્માનને લઈને ચર્ચા તેજ કરી છે. મહાપંચાયત દરમિયાન પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ શશિ થરૂરનું નામ લીધું નહોતું. જાણકારોના કહેવા મુજબ પાર્ટી અને રાજ્યમાં થરૂરની મહત્વતા જોતાં આ વાત ધ્યાન ખેંચે તેવી હતી.