નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુસિવ એલાયન્સ’ (INDIA)ના ઘટક પક્ષો ભાજપ સામે અસરકારક રીતે લડવા અને એકજૂટ થઈ આગળ વધવાની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે સોમવારે દિલ્હીમાં એકઠા થશે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના તેજસ્વી યાદવ અને શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે સહિત 23 વિપક્ષી પક્ષોના ટોચના નેતાઓ ભાગ લેશે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે 23 રાજકીય પક્ષોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે કેટલાક પક્ષોએ પોતાનાં કારણોસર આ ખાસ બેઠકમાં હાજર રહી શકશે નહીં એવી જાણ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) પહેલેથી જ જાહેરમાં આ ગઠબંધનથી અંતર બનાવી ચૂકી છે, જ્યારે DMKએ તામિલનાડુમાં કોંગ્રેસ દ્વારા તેની સાથેના સંબંધો તોડી TVK ગઠબંધન સરકારમાં જોડાયા બાદ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં INDIA ગઠબંધન ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા કરશે અને રાજ્યોમાં આવનારી ચૂંટણી તેમ જ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર મોદી સરકારનો સામનો કરવા માટે એકજૂટ થવાનો પ્રયાસ કરશે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને તાજેતરમાં થયેલી હારને કારણે પણ વિપક્ષી ગઠબંધન પર ભાજપના વધતા પ્રભાવ સામે એકતા દર્શાવવાનું દબાણ વધ્યું છે. TMC પોતાના નેતાઓ પર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાનો મુદ્દો બેઠકમાં ઉઠાવી શકે છે અને આ મુદ્દે INDIA ગઠબંધનના અન્ય પક્ષોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
CPM કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગશે
તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ગઠબંધનની અંદરના મતભેદોને પણ ઉજાગર કર્યા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપનો મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે કે કેરળની ચૂંટણીમાં વામપંથી પક્ષો અને ભાજપ વચ્ચે રાજકીય સમજૂતી હતી. કેરળમાં વામ મોરચાએ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને હરાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં CPMનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યસભા સભ્ય જોન બ્રિટાસ આ મુદ્દો ઉઠાવી કોંગ્રેસના નેતૃત્વ પાસેથી સ્પષ્ટતા માગી શકે છે. આ પહેલાં INDIA ગઠબંધનની છેલ્લી બેઠક જૂન, 2024માં યોજવામાં આવી હતી.






