ઇસ્લામાબાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તોડી નાખી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ચેતવણી આપી છે કે છેલ્લાં બે વર્ષમાં દેશે જે પણ આર્થિક પ્રગતિ કરી હતી, તે વૈશ્વિક ફ્યુઅલની વધતી કિંમતો અને પ્રાદેશિક અસ્થિરતાને કારણે જોખમમાં પડી ગઈ છે. શરીફે કેબિનેટ બેઠકમાં સ્વીકાર્યું કે યુદ્ધને કારણે દેશનું સાપ્તાહિક ઓઇલ આયાત બિલ ભારે વધી ગયું છે, જેને કારણે દેશનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે.
$ 300 મિલિયનથી વધીને $ 800 મિલિયન થયું ઓઇલનું બિલ
વડા પ્રધાન શહબાઝ શરીફે યુદ્ધના આર્થિક પ્રભાવ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. યુદ્ધ પહેલાં પાકિસ્તાનનું સાપ્તાહિક ઓઇલ બિલ આશરે 300 મિલિયન ડોલર હતું, જે હવે વધીને 800 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારે આ સંકટ અને ફ્યુઅલની કિંમતો પર નજર રાખવા માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે, જે દરરોજ સ્થિતિની સમીક્ષા કરી રહી છે.
શાંતિ માટે પાકિસ્તાનના કૂટનીતિના પ્રયત્નો નિષ્ફળ
આર્થિક નુકસાન ઘટાડવા માટે પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઇસ્લામાબાદમાં 11 એપ્રિલથી અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત માટે સુવિધા આપી હતી, જે સતત 21 કલાક ચાલી હતી. હાલમાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ છે અને પાકિસ્તાન બીજા તબક્કાની ચર્ચા માટે યજમાની કરવાની યોજના બનાવી રહ્યું છે. શરીફે શાંતિ પ્રયત્નો માટે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઇશાક દારની પ્રશંસા કરી છે.

વિશ્વભરમાં ગરીબીનું વધતું જોખમ
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) એ આ યુદ્ધનાં પરિણામોને લઈને ગંભીર ચેતવણી આપી છે. UNDP મુજબ આ યુદ્ધ અને મોંઘવારીને કારણે વિશ્વના 160 દેશોમાં ત્રણ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. UNDPના વડા અલેક્ઝાન્ડર ડી ક્રૂએ આ સ્થિતિને “ડેવલપમેન્ટ ઇન રિવર્સ” એટલે કે વિકાસની ઊલટી ગતિ તરીકે વર્ણવી છે.




