નવી દિલ્હી: દિલ્હીથી થોડા અંતરે આવેલા રેવાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવાર સવારે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રેવાડીમાં જમીનથી આશરે પાંટ કિમીની ઊંડાઈએ હતું. સવારે 7.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે.
ભૂકંપ કેમ આવે છે?
છેલ્લા કેટલાક દિવસોમાં દેશ-વિદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. પૃથ્વીના અંદર 7 ટેક્ટોનિક પ્લેટ્સ છે. આ પ્લેટ્સ સતત પોતાની જગ્યાએ હલનચલન કરતી રહે છે. ક્યારેક આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે અથવા ઘર્ષણ થાય છે, જેને કારણે પૃથ્વી પર ભૂકંપ આવે છે. ભૂકંપથી સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. મકાનો તૂટી પડે છે અને તેમાં દબાઈને હજારો લોકોનાં મોત પણ થઈ શકે છે.

દેશમાં ભૂકંપના ઝોન
ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભારતના કુલ ભૂભાગનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપના વિસ્તારોને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ ચાર ભાગમાં વહેંચ્યા છે. તેમાં ઝોન-5 સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે જ્યારે ઝોન-2 ઓછું સંવેદનશીલ માનવામાં આવે છે. દેશની રાજધાની દિલ્લી ઝોન-4માં આવે છે. અહીં 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ પણ આવી શકે છે, જેને કારણે મોટી તબાહી થઈ શકે છે. ભારતમાં હિમાલય વિસ્તાર અને કેટલાક ફોલ્ટ લાઇન (જેમ કે કચ્છ અને પૂર્વોત્તર ભારત)ને કારણે ભૂકંપની સંભાવના વધુ છે, કારણ કે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.




