ફ્યુઅલ, ફર્ટિલાઇઝર અને ફોરેક્સની વધતી કિંમત છતાં અર્થતંત્ર મજબૂતઃ FM

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને  જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, પરંતુ પશ્ચિમ એશિયાના સંકટને કારણે કાચા તેલ, ખાતર અને સોનાની ઊંચી કિંમતોને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું છે. વડા પ્રધાન મોદી દ્વારા વિદેશી મુદ્રા બચાવવા કરવામાં આવેલી અપીલનું સમર્થન કરતાં સીતારામને કહ્યું હતું કે આ નિવેદનને વૈશ્વિક કોમોડિટી બજારમાં ઊથલપાથલ અને વધતી આયાત ખર્ચની પરિસ્થિતિમાં સમજવું જોઈએ.

મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઊંચી કિંમતોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને કાચા તેલના ભાવ સતત બદલાઈ રહ્યા છે. છેલ્લા લગભગ 90 દિવસથી કિંમતોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારત હાલમાં આંતરરાષ્ટ્રીય ખાતર અને સોનાની કિંમતોમાં અચાનક થયેલા વધારાનો પણ સામનો કરી રહ્યું છે. આ ત્રણેય વસ્તુઓની ચુકવણી વિદેશી મુદ્રામાં જ કરવી પડે છે, કારણ કે ત્યાં રૂપિયા દ્વારા વેપાર થતો નથી.

3Fs ને સમજવું જરૂરી: નાણાપ્રધાન

તેમણે કહ્યું હતું કે કૃપા કરીને આ થ્રી Fs (Fuel, Fertiliser અને Foreign Exchange ના સંદર્ભને સમજો. તેમનો સંકેત આવશ્યક આયાત અને સોનાની ખરીદીના કારણે બાહ્ય ખાતા પર વધતા દબાણ તરફ હતો. નાણાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના આર્થિક પ્રભાવ અંગે ચિંતાઓ વધી રહી છે. તેમાં શિપિંગ માર્ગો પર જોખમ, માલવહન ખર્ચમાં વધારો અને ઊર્જા બજારમાં અવરોધની શક્યતાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું  હતું કે આ સંકટ માત્ર કૂટનીતિ નથી. વેપારીઓ અને સામાન્ય લોકો માટે તેનો અર્થ થઈ શકે છે – ઇંધણ ખર્ચમાં વધારો, માલ સપ્લાયમાં વિલંબ, મોંઘી શિપિંગ, કાચા માલની અછત, વર્કિંગ કેપિટલ પર દબાણ અને નિકાસ ઓર્ડરોમાં અનિશ્ચિતતા.