મુંબઈ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગે શુક્રવારે રાજ્યની તમામ સ્કૂલોમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત બનાવવા માટે નવો સરકારી ઠરાવ (GR) જાહેર કર્યો છે. તેમાં વારંવાર નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને માન્યતા રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિર્દેશ ‘મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠી ભાષાનું ફરજિયાત શિક્ષણ અને અભ્યાસ અધિનિયમ, 2020’ હેઠળ તમામ સંસ્થાઓ પર લાગુ પડે છે, ભલે તેમનું બોર્ડ, માધ્યમ કે મેનેજમેન્ટ કંઈ પણ હોય.
મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત
આ આદેશ મુજબ દરેક સ્કૂલમાં લાયકાત ધરાવતા મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત કરવામાં આવી છે. બહુસ્તરીય અમલ પ્રણાલી હેઠળ શિક્ષણ વિભાગના ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટરને નિયમોના પાલન માટે સક્ષમ અધિકારી બનાવવામાં આવ્યા છે.
નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ બે મહિનાની અંદર સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓને નોટિસ આપવામાં આવશે અને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. તેમ છતાં પાલન ન થાય તો દંડ ફટકારવામાં આવી શકે છે અને તરત અમલ કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. GRમાં અપીલ પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે, જે હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ 30 દિવસની અંદર શિક્ષણ નિયામક સમક્ષ દંડને પડકારી શકે છે.

નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી થશે
સતત નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે શિક્ષણ કમિશનર સમક્ષ સુનાવણી થઈ શકે છે અને અંતે તેમની માન્યતા પણ રદ થઈ શકે છે. જોકે કાર્યકર્તાઓએ આ પગલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે પહેલી એપ્રિલ, 2020થી કાયદો લાગુ થયા બાદ અનેક GR બહાર પાડવામાં આવ્યા છતાં તેનો યોગ્ય અમલ થયો નથી.
તેમણે નિયમોનું પાલન કરનાર અને ભંગ કરનાર સ્કૂલોની ઓળખ દર્શાવતો સ્પષ્ટ ડેટાબેસ ન હોવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. મરાઠી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના કો-ઓર્ડિનેટર સુશીલ શેજુલે લાંબા સમયથી 2020ના કાયદાનો કડક અમલ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “છેલ્લા છ વર્ષમાં આ મુદ્દે અનેક GR જાહેર થયા છે, છતાં તેનો અમલ હજુ અધૂરો છે.




