નાલંદાઃ બિહારના નાલંદામાં આવેલા શીતલા માતા મંદિરમાં નાસભાગ મચવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં આઠ મહિલાઓનાં મોત થયા છે. મંદિરમાં ભારે ભીડ વચ્ચે પૂજા દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના નાલંદાના દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મઘડા શીતલા માતા મંદિરની છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે હોવાથી મંદિરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. પરંતુ અવ્યવસ્થાને કારણે નાસભાગ મચી ગઈ. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને મંદિર પરિસરમાં અનેક એમ્બ્યુલન્સ પહોંચી રહી છે.
ખરાબ વ્યવસ્થાને કારણે મચી નાસભાગ
મંદિરમાં હાજર પ્રત્યક્ષદર્શી રીના રાયે જણાવ્યું હતું કે અમને ખબર પડી કે કેટલાક લોકો બેભાન થઈ ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. કેટલાક લોકોનાં મોત થયાની પણ માહિતી મળી. કોઈ પણ લાઈનમાં ઊભા રહેવા તૈયાર નહોતું અને દરેક વ્યક્તિ પહેલા દર્શન કરવા માગતી હતી, જેને કારણે નાસભાગ મચી હતી. ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી ભારે ભીડ હતી. આ બધું ખરાબ વ્યવસ્થાને કારણે થયું હતું.
नालंदा स्थित माता शीतला मंदिर में भगदड़ की दुखद घटना अत्यंत ही पीड़ादायक है। इस हादसे में जान गंवाने वाले और घायल हुए सभी श्रद्धालुओं के परिवारजनों के प्रति अपनी संवेदनाएँ प्रकट करता हूँ।
सरकार द्वारा पीड़ित परिवारों को हर संभव सहायता और राहत प्रदान की जा रही है। घायलों के…
— Samrat Choudhary (@samrat4bjp) March 31, 2026
બીજા એક શ્રદ્ધાળુ મમતા દેવીએ જણાવ્યું હતું અહીં દર મંગળવારે ઘણી ભીડ રહે છે. લોકો શીતલા માતાનાં દર્શન માટે આવે છે. અમે પણ પટનાથી દર્શન કરવા આવ્યા હતા. પરંતુ દર્શનની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ અને લોકોનાં મોત થયાં. આ બધું કુવ્યવસ્થાને કારણે થયું હતું. અહીં એમ્બ્યુલન્સ આવી ગઈ છે, પરંતુ ભીડ ખૂબ વધારે છે અને વહીવટી તંત્ર નજરે પડતું નથી.

બિહારના ઉપ મુખ્યમંત્રીનું નિવેદન
બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નાલંદાનાં માતા શીતલા મંદિરમાં થયેલી દુઃખદ નાસભાગની ઘટના અત્યંત હૃદયદ્વાવક છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના વહેલી તકે સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સરકાર અસરગ્રસ્ત પરિવારોને દરેક શક્ય સહાય અને રાહત પૂરી પાડી રહી છે. ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે તેવી પ્રાર્થના.




