નવી દિલ્હીઃ દિલ્હીમાં વીજળી પર લાગતો ફ્યુઅલ સરચાર્જ વધવાનો છે, પરંતુ દર મહિને 400 યુનિટ સુધી વીજળી વાપરતા ઘરેલુ ગ્રાહકો પર આ વધારાનો કોઈ અસર નહીં પડે. દિલ્હી વીજળી નિયમન આયોગ (DERC)એ ફ્યુઅલ સરચાર્જ વધારવાની મંજૂરી આપી છે, જેને કારણે જૂન મહિનાનું વીજળી બિલ વધુ આવશે.હાલમાં વીજ કંપનીઓ માટે FPPAS (Fuel and Power Purchase Adjustment Surcharge) વસૂલવાની મર્યાદા 10 ટકા હતી, જેને વધારીને 16-17 ટકા સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હીમાં ત્રણ વીજ વિતરણ કંપનીઓ કાર્યરત છે અને દરેક વિસ્તારમાં PPAC (Power Purchase Adjustment Cost)ની અસર અલગ રહેશે. ટાટા પાવરના વિસ્તારમાં રહેનારા ગ્રાહકોને હવે આશરે એક ટકા વધુ બિલ ચૂકવવું પડશે, જ્યારે BSESના વિસ્તારમાં રહેનારાઓને 2.5 થી 3.5 ટકા સુધી વધુ બિલ ચૂકવવું પડશે. ફ્યુઅલ સરચાર્જમાં વધારો ખાસ કરીને વ્યાવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકોને વધુ અસર કરશે. જૂનના બિલમાં માર્ચના 10 ટકા બાકી સરચાર્જની વસૂલાત પણ કરવામાં આવશે, જેને કારણે ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે છે.
દિલ્હીમાં વીજળીના દરોમાં વધારો
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના અધ્યક્ષ બૃજેશ ગોયલે મુખ્ય મંત્રી રેખા ગુપ્તાને પત્ર લખીને જણાવ્યું છે કે આ વધારાને કારણે કરોલબાગ જેવા વેપારી વિસ્તારોમાં દુકાનદારોના વીજ બિલમાં ઉત્તર પ્રદેશ અને ગુરુગ્રામની સરખામણીએ દર મહિને 4000 થી 5000 રૂપિયા સુધીનો વધારાનો બોજો આવી શકે છે. તેમણે જણાવ્યું કે કારખાનાઓમાં ઉત્પાદન ખર્ચ વધશે અને દિલ્હીમાં વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીના દરો હરિયાણા અને ઉત્તર પ્રદેશ કરતાં 15થી 20 ટકા વધુ મોંઘા થઈ જશે. પરિણામે વેપારીઓ અને ફેક્ટરી માલિકો પર વધારાનો આર્થિક બોજો પડશે.

દિલ્હીની ફેક્ટરીઓ હરિયાણા અને યુપી તરફ ખસે તેવી શક્યતા
તેમના જણાવ્યા મુજબ દિલ્હીમાં ઘરેલુ ગ્રાહકોને વીજળી પર સબસિડી મળે છે, પરંતુ વ્યાવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકોને કોઈ સબસિડી મળતી નથી. તેથી તેમની વીજળીની કિંમત પડોશી રાજ્યોની તુલનામાં ઘણી વધારે થઈ જશે. તેમણે ચેતવણી આપી કે વધતા વીજ દરો અને દિલ્હીમાં ઊંચા ન્યૂનતમ વેતનને કારણે ઘણી ફેક્ટરીઓ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સ્થળાંતર કરી શકે છે, જ્યાં વીજળી અને મજૂરી બંને સસ્તી હોવાથી ઉત્પાદન ખર્ચ ઓછો પડે છે.






