અમેરિકા, ઇરાન યુદ્ધને પગલે બાંગ્લાદેશમાં ઘેરાયું ઊર્જા સંકટ

ઢાકાઃ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધનો પ્રભાવ હવે બાંગ્લાદેશ પર પણ દેખાવા લાગ્યો છે. દેશમાં ઊર્જા અને ઇંધણ સંકટ ગંભીર બનતાં નવી તારિક રહમાન સરકારે નિયંત્રણાત્મક પગલાં જાહેર કર્યાં છે. ઇંધણ બચાવવા અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ઓફિસોથી લઈને શોપિંગ મોલ સુધીના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.

 બાંગ્લાદેશમાં ઓફિસનો નવો સમય શું?

સરકારે ઓફિસનાં કામકાજના કલાકો ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી વીજળી અને ઇંધણની માગ નિયંત્રિત કરી શકાય. નવા નિયમ મુજબ બાંગ્લાદેશમાં તમામ ઓફિસો હવે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ઊર્જા બચતના પગલાંરૂપે દેશભરની તમામ દુકાનો, રિટેલ આઉટલેટ અને શોપિંગ મોલ દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવશે.

 ઇંધણ બચાવવા બાંગ્લાદેશ શું પગલાં લઈ રહ્યું છે?

  • શિક્ષણ મંત્રાલય રવિવારથી શાળાઓ માટે નવા માર્ગદર્શિકો જાહેર કરશે, જેમાં સમયપત્રકમાં ફેરફાર અને જરૂર પડે તો ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની વ્યવસ્થા હશે.
  • શાળાઓ માટે ઇલેક્ટ્રિક બસોના ડ્યૂટી-ફ્રી આયાતની મંજૂરી આપવાનો વિચાર ચાલી રહ્યો છે અને આ પહેલમાં જોડાનારને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ઇંધણની અછતને પહોંચી વળવા પેટ્રોલ અને ડીઝલ પર રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે.
  • ગભરાટમાં ખરીદી અને જથ્થાબંધ સંગ્રહ અટકાવવા વાહનોના વેચાણ પર મર્યાદા મૂકવામાં આવી છે.
  • લાંબી લાઈનો અને વધતી માગને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ પંપોના ખુલ્લા રહેવાના સમયને પણ ઘટાડવામાં આવ્યો છે.
  • અધિકારીઓએ ચેતવણી આપી છે કે મુખ્ય તહેવારો દરમિયાન થોડી રાહત મળવા છતાં ઇંધણ પુરવઠો હજુ મર્યાદિત રહેશે.

 બાંગ્લાદેશમાં વધતું ઇંધણ અને ઊર્જા સંકટ

બાંગ્લાદેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય અનિશ્ચિતતા વધી છે, જેની સીધી અસર દેશ પર પડી છે. અંદાજે 17.5 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા સરકારી એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે.