અર્જુન કપૂરની ફિલ્મ ‘કુત્તે’ની નવી રિલીઝ ડેટનું એલાન

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને લઈને સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં તે તેની ફિલ્મ ‘કુત્તે’ને લઈને બધી જગ્યાએ છવાયેલો છે.  ફિલ્મમેકર્સે ફિલ્મ ‘આદિપુરુષ’ પછી ફિલ્મ ‘કુત્તે’ની રિલીઝ ડેટ વિશે જણાવ્યું હતું. અર્જુન કપૂરની આ ફિલ્મમાં અનેક સ્ટાર્સ નજરે ચઢશે. બોલીવૂડના દિગ્ગજ ફિલ્મકાર અને સંગીતકારના વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજ ફિલ્મજગતમાં ફિલ્મ ‘કુત્તે’થી  ડિરેક્ટર તરીકે ડગ માંડવાના છે.

આસમાન ભારદ્વાજના ડિરેક્શનમાં બનેલી આ પહેલી ફિલ્મ 2023માં થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને નસીરુદ્દીન શાહ લીડ રોલમાં છે. અર્જુન કપૂરની ફિલ્મ ‘કુત્તે’ એના નામને કારણે દરેક જગ્યાએ છવાયેલી છે. આ ફિલ્મથી જોડાયેલું એક પોસ્ટર પણ જારી થયું છે, જે સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ તારીખને લઈને મેકર્સે મોટું એલાન કર્યું છે. લવ રંજનના પ્રોડક્શન હાઉસ તરફથી સોમવારે સવારે એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આવતા વર્ષની 13 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અર્જુન કપૂરની આ ફિલ્મ આ વર્ષે ચોથી નવેમ્બરે રિલીઝ થવાની હતી, પણ ચોથી નવેમ્બરે બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મો ‘ફોનભૂત,’ ‘મિલી’ અને ‘ડબલ XL’ રિલીઝ થઈ છે. જેથી ફિલ્મ મેકર્સે આ ફિલ્મની રિલીઝને આગળ ધકેલી દીધી હતી.