PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બદલ UP કોંગ્રેસઅધ્યક્ષ વિરુદ્ધ FIR

લખનૌઃ ઉત્તર પ્રદેશ કોંગ્રેસઅધ્યક્ષ અજય રાય વિરુદ્ધ કેસ નોંધાયો છે. અજય રાય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. અજય રાય સિવાય ભૂતપૂર્વ કોંગ્રેસ કમિટી સચિવ બૃજરાજ અહિરવાર અને કોંગ્રેસ પાર્ટીના 30 અજાણ્યા સમર્થકો વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. આ FIR મહોબા જિલ્લામાં 22 મેએ યોજાયેલી એક રાજકીય સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી અને જાહેર વ્યવસ્થા ભંગ કરવાના આરોપસર નોંધવામાં આવી છે.

મહોબાના કોતવાળી નગર પોલીસ સ્ટેશનમાં ભાજપ જિલ્લા કાર્યકારી સમિતિના સભ્ય અને સામાજિક-રાજકીય કાર્યકર નીરજ રાવત દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ સમદનગર વિસ્તારમાં રાજકુમાર અહિરવારના નિવાસસ્થાને ભૂતપૂર્વ પ્રશાસનિક મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો હતો. નીરજ રાવતે FIRમાં આરોપ લગાવ્યો છે કે અજય રાય 15-16 વાહનોના કાફલા અને અંદાજે 25-30 સમર્થકો સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ વાહનો જાહેર માર્ગ પર અવ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં આવ્યાં હતાં, જેને કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો અને સ્થાનિક લોકોને અસુવિધા પડી હતી.

ફરિયાદ મુજબ કથિત ટિપ્પણીઓનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેને કારણે સ્થાનિક ભાજપ કાર્યકરો અને રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. આ FIRમાં એવો પણ આરોપ છે કે કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલાં નિવેદનો જાતિ આધારિત વિવાદોને પ્રોત્સાહન આપી શકે છે અને સામ્પ્રદાયિક સૌહાર્દ બગાડી શકે છે. પુરાવા તરીકે કથિત વાયરલ વિડિયો ધરાવતી પેન ડ્રાઇવ પણ ફરિયાદ સાથે સોંપવામાં આવી હતી.

મહોબાની વધારાની પોલીસ અધિક્ષક વંદના સિંહે જણાવ્યું કે ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં કલમ 126 (2) (ગેરકાયદે રીતે રોકવું), 132 (સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ પહોંચાડવા હુમલો અથવા બળનો ઉપયોગ), 189 (2) (ગેરકાયદે સભા), 196 (1) (સમૂહોમાં વૈરભાવ ફેલાવવો) અને 352 (શાંતિ ભંગ કરવી)નો સમાવેશ થાય છે.