અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના

અમદાવાદ: ફરી એકવાર શહેરમાં આગની ઘટના સામે આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર-3 હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિગતો મુજબ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આવેલા એક મકાનમાં આગ ભભૂકી ઊઠતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગના ધુમાડા દૂર સુધી દેખાતા બિલ્ડિંગની આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી.કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.