પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા હુમલાઓ અને પ્રતિહુમલાઓને કારણે સમગ્ર પ્રદેશમાં અસુરક્ષાની સ્થિતિ ઊભી થઈ છે. આ સંઘર્ષનો અસર વિશ્વના ઊર્જા બજારો પર પણ જોવા મળી રહ્યો છે. હોમુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર તણાવ વધતા ભારત સહિત અનેક દેશો માટે ઊર્જા પુરવઠાની ચિંતા વધી છે. આ પરિસ્થિતિમાં ભારત અને મધ્યપૂર્વ વચ્ચેના રાજનૈતિક સંબંધો ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ભારતમાં યુએઈના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈરાન અને ઈઝરાયેલના નેતાઓ સાથે સીધી વાતચીત કરે તો સંઘર્ષને શાંત કરવાની દિશામાં મોટું પગલું ભરાઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિષ્ઠા છે અને ખાડી દેશોમાં તેમજ સમગ્ર પશ્ચિમ એશિયામાં તેમને માન અને વિશ્વાસ સાથે જોવામાં આવે છે.
એનડીટીવી સાથેની વાતચીત દરમિયાન મિર્ઝાએ કહ્યું કે સંયુક્ત અરબ અમીરાત હાલ ચાલી રહેલા સંઘર્ષથી ચિંતિત છે અને તે ઈચ્છે છે કે આ યુદ્ધ વધુ લાંબું ન ચાલે. તેમના જણાવ્યા મુજબ યુએઈ પોતાના પ્રદેશનો ઉપયોગ કોઈપણ પ્રકારના હુમલા માટે થવા દેવા માંગતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે યુએઈ આ સંઘર્ષમાં સીધું જોડાવા માંગતું નથી અને તે શાંતિપૂર્ણ ઉકેલ તરફ પ્રયત્નશીલ છે.
મિર્ઝાએ વધુમાં કહ્યું કે અબુધાબી બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે અને મધ્યસ્થી તરીકે પણ ભૂમિકા ભજવી શકે છે. તેમની દૃષ્ટિએ ભારત, યુએઈ અને અન્ય મિત્ર દેશો મળીને રાજનૈતિક સંવાદ દ્વારા પરિસ્થિતિને સ્થિર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે ખાસ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીનો એક ફોન કોલ પણ બંને દેશોના નેતાઓ વચ્ચે સંવાદ શરૂ કરવા માટે અસરકારક બની શકે છે.




