નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. પુતિનની મુલાકાત પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ મુલાકાત થાય. આ લોકતંત્રની પ્રક્રિયા માટે ચિંતાજનક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સામાન્ય રીતે પરંપરા એવી છે કે બહારથી જે પણ આવે છે, તેમની LOP સાથે મુલાકાત થાય છે. મનમોહન સિંહ અને વાજપેયીના સમયમાં આ થતું હતું, પરંતુ આજકાલ શું થાય છે કે જ્યારે વિદેશી ગણમાન્ય લોકો આવે છે અથવા હું જ્યારે બહાર જાઉં છું, ત્યારે સરકાર તેમને સલાહ આપે છે કે LOP સાથે મળવું નહીં. આ સરકારની નીતિ છે અને તેઓ દર વખતે આવું જ કરે છે.
સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી નેતાઓને મળે – રાહુલ ગાંધી
તેમણે જણાવ્યું હતું કે અમને સંદેશ આવે છે કે તમે મળશો નહીં. ભારતના સંબંધો તો બધા સાથે છે. વિપક્ષના નેતાઓ પણ એક જુદો નજરિયો રજૂ કરે છે, અમે ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી મહેમાનોને મળે. વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રાલય હવે અસુરક્ષાને કારણે આવું કરે છે.
કોણ નક્કી કરે છે મુલાકાત?
જોકે આ પરંપરા સંપૂર્ણ રીતે બંધ થઈ નથી, તેમ છતાં રાહુલ ગાંધીના આરોપોની વચ્ચે સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે મુલાકાત મહેમાન જ નક્કી કરે છે. રશિયાના મામલામાં પણ પુતિન કોને મળવા માગે છે અને કોને નહીં – તે રશિયાની સરકાર નક્કી કરશે.




