ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ

વલસાડ: ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે, જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા છે. આ 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા છે.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે.

તેમણે કહ્યું કે, આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરી ૧૨મી ચિંતન શિબિરની રૂપરેખા આપી હતી. તેમણે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉની ચિંતન શિબિરોમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે.મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ શિબિરનો એક આગવો હેતુ વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા માટે ક્ષમતા નિર્માણ કરવાનો છે. વિકાસની કેડી પર આગળ વધીએ ત્યારે કામનું ભારણ, કામનો પ્રકાર, જાહેર સેવાની જવાબદારી અને જનતાની આશા અપેક્ષાઓ પણ વધે છે. લોકોની સમસ્યાઓ ઉકેલવાનું અને જનહિતના કાર્યો, યોજનાઓને ઉચ્ચ ક્ષમતા સાથે અમલી બનાવવાના છે એમ ઉમેર્યું હતું.

આ 12મી ચિંતન શિબીરમાં વિકસિત ગુજરાતને વધુ દ્રઢતાપૂર્વક સાકાર કરવાં જે પાંચ ફોકસ સબજેક્ટ ચર્ચા અને ગ્રુપ ડિશક્શન માટે પસંદ કરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યુ કે આ વિષયોમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.