સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કોંગ્રેસે ઉમેદવારો માટે QR કોડ જાહેર કર્યો

0

અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે.ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે.