ગુજરાત સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો રદ

0

ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની જરૂરી પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નવા શિક્ષકોની બદલે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જૂના નિયમમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે.