પંજાબમાં ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાના ધોરણે મદદનો હાથ લંબાવ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી પંજાબના પૂરગ્રસ્તો માટે જીવનજરૂરી રાહત સામગ્રી ભરેલી ખાસ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી. આ પહેલ ગુજરાતની સંવેદનશીલતા અને રાજ્યો વચ્ચેના ભાઈચારાની ભાવનાને ઉજાગર કરે છે.
રાહત સામગ્રીમાં શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે જીવનરક્ષક સાબિત થશે. આ સામગ્રી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે મોકલવામાં આવી છે.
A special relief train from the Government of Gujarat for the people affected by floods in Punjab was flagged off from Gandhinagar in the presence of Hon’ble CM Shri @Bhupendrapbjp ji and other ministers.(1/2) pic.twitter.com/vVDUwEvSVa
— Harsh Sanghavi (@sanghaviharsh) September 11, 2025
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંજાબ અને હિમાચલ પ્રદેશની પૂર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે હવાઈ સર્વેક્ષણ દ્વારા નુકસાનનો તાગ મેળવ્યો અને હિમાચલના કાંગડા તેમજ પંજાબના ગુરદાસપુરમાં પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે અસરગ્રસ્તોની સમસ્યાઓ સાંભળી અને અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાહત તથા બચાવ કાર્યોને વેગ આપવા ચર્ચા કરી.
ગુજરાત સરકારની આ માનવીય પહેલ અને વડાપ્રધાનની સક્રિય મુલાકાત પૂરગ્રસ્ત લોકોને આશાનું કિરણ આપે છે. ગુજરાત સરકારે અપીલ કરી છે કે આવી આફતોમાં એકબીજાને મદદ કરીને આપણે દેશની એકતાને મજબૂત કરી શકીએ છીએ.


