કિંજલ રબારી કેસમાં હાઈકોર્ટનો વચગાળાનો રાહત આપતો આદેશ

અમદાવાદના ચાંદખેડાથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ અંગે ચાલી રહેલા ચર્ચાસસ્પદ કાનૂની વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ વચગાળાનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર થયેલી ગાયિકા કિંજલ રબારીએ ન્યાયાધીશ સમક્ષ પોતાની મરજી સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે તેને કોઈએ બળજબરીથી અગવા કરી નથી અને તે સ્વેચ્છાએ પોતાના પતી અશોક ચૌધરી સાથે રહી રહી છે.

‘હું 24 વર્ષની પુખ્ત વયની નાગરિક છું’: હાઈકોર્ટ સમક્ષ કિંજલનો જવાબ

સુનાવણી દરમિયાન અદાલતના પ્રશ્નોના જવાબ આપતાં કિંજલે ખુલાસો કર્યો હતો કે તે પોતાની રાજીપો ખુશીથી અશોક ચૌધરી સાથે જીવન વીતાવી રહી છે. કિંજલના કાનૂની પ્રતિનિધિએ કોર્ટ ધ્યાન દોર્યું હતું કે કિંજલ 24 વર્ષની પુખ્ત વયની મહિલા હોવાથી તેને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અને તેની સાથે રહેવાનો કાયદાકીય અધિકાર છે. અગાઉના ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરતાં કિંજલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ હેબિયસ કોર્પસ અરજી વખતે પરિવારના ભારે દબાણ અને ભયના કારણે તેણે અશોક સાથે જવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ આ વખતે તે પોતાની મરજીથી પતિ પાસે પરત ફરી છે.

FIR પર કાનૂની સ્ટે અને અમદાવાદ પોલીસને પ્રોટેક્શન આદેશ

કિંજલ અને તેના પતિ અશોક ચૌધરી તરફથી પોતાના જાનમાલનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતાં હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે. હાઈકોર્ટે સરકારી વકીલ મારફતે અમદાવાદ પોલીસ કમિશનરને આ દંપતીને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, અગાઉ મૈત્રી કરારથી રહેતા મુકેશ દેસાઈ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી અપહરણની ફરિયાદ અને તમામ આગળની તપાસ કાર્યવાહી પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. કોર્ટે ફરિયાદી મુકેશ દેસાઈ સહિત સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરીને વધુ સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે.