જેતલપુર: સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે નિર્મિત પાંચમા મંદિર જેતલપુરધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘અવસર’ મહોત્સવનું 11 માર્ચ 2026ના રોજ ભવ્ય સમાપન થયું હતું. ફાગણ વદ આઠમના આ મંગલ દિવસે આયોજિત પાટોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિશેષ હાજરી આપી હતી.

નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી, ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષસ્થાને 5 માર્ચથી 11 માર્ચ સુધી આ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
સનાતન સંસ્કૃતિ અને ભગવાનના આચરણનો મહિમા
કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે હરિભક્તોને સંબોધતા કહ્યું કે, “જેતલપુરધામના 200 વર્ષ પૂર્ણ થવાનો આ અવસર અત્યંત દિવ્ય છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ભગવાનના ચરણ જ્યાં પડ્યા હોય તે દરેક કણ પવિત્ર ગણાય છે, ત્યારે અહીં તો ભગવાને સ્વયં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ મંદિરની દિવ્યતા અજોડ છે.”
કુરિવાજો દૂર કરવામાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રદાન
મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણના સામાજિક સુધારાના કાર્યોને યાદ કરતા કહ્યું હતું કે, “સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાનું મોટું કાર્ય ભગવાને કર્યું છે.” તેમણે વિષ્ણુ મહાયોગ દ્વારા સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં તમામ વર્ગના લોકો સાથે બેસીને જમ્યા હતા.

વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થવા આહ્વાન
રાષ્ટ્ર વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હંમેશા રાષ્ટ્રહિત અને સમાજ સેવા માટે તત્પર રહ્યા છે.” વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા તેમણે સૌને સાથે મળીને આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
સાત દિવસ ચાલેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો, સ્વયંસેવકો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




