ગુજરાતમાં લોકશાહી પર્વ પર વર-વધૂઓએ નિભાવ્યો નાગરિક ધર્મ!

5

ગુજરાતમાં આજે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે રાજ્યભરમાંથી લોકશાહીને મજબૂત કરતા પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. ‘પહેલા મતદાન, પછી સાવધાન’ અને ‘પહેલા મતદાન, પછી જાન’ના નારાને સાર્થક કરતા અનેક વરરાજાઓ અને નવવધૂઓએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરી સમાજને એક નવી રાહ ચીંધી છે.

વરરાજાઓએ ‘જાન’ પહેલા ‘મતદાન’ને આપ્યું મહત્વ

બોટાદના માંડવધારમાં વરરાજા અવિનાશ પરમારે વરઘોડો કાઢતા પહેલા ઢોલ-નગારા સાથે બુથ પર પહોંચીને મતદાન કર્યું હતું. તેવી જ રીતે જેતપુરના વીરપુર અને મહેસાણાના બહુચરાજીમાં પણ વરરાજાઓએ જાન લઈને નીકળતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. વલસાડના નાનાપોંઢામાં તો વરરાજાએ પીઠી ચોળેલી અવસ્થામાં જ મતદાન મથકે પહોંચીને પવિત્ર ફરજ અદા કરી હતી. ડીસાના પેછડાલ અને વાવ-થરાદના ભાચર ગામે પણ વરરાજાઓએ લગ્ન પહેલા વોટ આપીને યુવાનો માટે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કન્યાઓએ મંડપમાં જતા પહેલા નિભાવી ફરજ

સુરેન્દ્રનગરના લીંબડીની દીકરી જયશ્રીબેન મકવાણાએ લગ્ન મંડપમાં જતા પૂર્વે મતદાન કરી “મતદાન આપણો અધિકાર છે”નો સંદેશ આપ્યો હતો. ગોંડલના ધરાળા ગામે દુલ્હન મહેશ્વરીબેન માયાણીએ પોતાના ભાઈઓ સાથે જઈને ગામનું પ્રથમ મતદાન કર્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના માખીયાળામાં ડેન્સી ગજેરા, જેતપુરના ડેડરવા ગામે અવનીબેન દુધાત્રા અને કાલોલના કાતોલ ગામે હર્ષિતા પરમારે શુભ મુહૂર્ત અને સપ્તપદીના ફેરા પહેલા મતદાન મથકે જઈને પોતાની જવાબદારી નિભાવી હતી.

નવદંપતીઓનો અનોખો ઉત્સાહ

અરવલ્લીના મેઘરજમાં પાર્થ અને દિયા સુથારે લગ્નગ્રંથિથી જોડાયા બાદ તુરંત જ મતદાન કરીને નવું જીવન શરૂ કર્યું હતું. જામનગરમાં નવોઢા મીરાબેને દેશના વિકાસ માટે વોટ આપીને નાગરિકોને મતદાનની અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી આ ચૂંટણીમાં આ યુવા મતદારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેઓ સાબિત કરી રહ્યા છે કે અંગત પ્રસંગો કરતા દેશની લોકશાહીનું જતન વધુ મહત્વનું છે.