ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ

ગાંધીનગર: 24મી માર્ચે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ. બિલ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણી આવતા બિલ ઉતાવળે લાવવામાં આવ્યું. ઉત્તરાખંડ બાદ UCC બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય છે. બિલમાં લગ્ન, લિવ ઈન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે.‘આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે’: CM

UCC બિલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું. કહ્યું ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે. મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે.” મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામ ના નારા લગાવવામાં આવ્યા હતા.

બિલમાં લગ્ન-છૂટાછેડા અંગેના નિયમો

ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

બહુપત્નીત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.

કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.

લિવ-ઈન રિલેશનશિપ

ફરજિયાત રજીસ્ટ્રેશન: લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.

કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

લઘુમતી સમાજ માટે છૂટ

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે પ્રતિક્રિયા આપી. જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ ન રાખવામાં આવ્યું. સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે ધારાસભ્યોને અભ્યાસ માટે પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય. સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

સરકારે બિલમાં રાખી છે છૂટછાટ

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે. પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.