સોસાયટીની મીટિંગમાં હંગામો કરનાર પાયલ રોહતગીની ધરપકડ

અમદાવાદઃ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં છે. અમદાવાદ પોલીસે અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. અભિનેત્રીએ સોસાયટીની મીટિંગમાં કમિટી સભ્ય ન હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સોસાયટીના ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ સાથે પાયલ રોહતગી પર સોશિયલ મિડિયામાં સોસાયટીના ચેરમેન વિરુદ્ધ બીભત્સ અને અપશબ્દો બોલવાનો આરોપ છે. જોકે પાયલે બાદમાં એ પોસ્ટ કાઢી નાખી હતી. આ સાથે જ પાયલ પર વારંવાર સોસાયટીના લોકો સાથે ઝગડો કરવાનો, ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ છે.

સોસાયટીની 20 જૂને યોજાયેલી એજીએમની મિટિંગમાં પાયલ સદસ્ય ન હોવા છતાં હાજર રહી હતી, જ્યારે તેને બોલવાની ના પાડવામાં આવી ત્યારે પણ તે અપશબ્દો બોલવા લાગી હતી. આ સાથે જ સોસાયટીમાં બાળકોના રમવાને લઈને પણ તેણે અનેક વખત ઝગડો કર્યો હતો.

પાયલ રોહતગીની અગાઉ પણ એક વખત ધરપકડ થયેલી છે. રાજસ્થાનની બૂંદી પોલીસે પાયલની ધરપકડ કરી હતી. 21 સપ્ટેમ્બર, 2019એ પાયલે સોશિયલ મિડિયામાં એક વિડિયો શેર કર્યો હતો, જેમાં પૂર્વ સ્વાતંત્ર્યસેનાની મોતીલાલ નેહરુ અને પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તથા ઈન્દિરા ગાંધીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી

અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ટ્વીટને લઈને ભારે વિવાદમાં રહે છે. આ કારણે તેણે ટ્રોલર્સનો સામનો પણ કરવો પડે છે.